News of Friday, 16th August 2019
અસિતગિરિસમં સ્યાતત્કજજલં સિંધુપાત્રે, સુરતરૂ પર શાખા લેખની પત્રમુર્વીI
લિખતી યદી ગૃહિત્વા શારદા સર્વકાલ, તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતીII
એટલે કે સાતેય સમુદ્રની શાહી બનાવી, આ પૃથ્વીના પર જેટલો કાગળ લઇ, કલ્પવૃક્ષની કલમ બનાવી , મા શારદા (સરસ્વતી) સર્વકાલ શિવજીના ગુણ લખતી રહે તો પણ શિવજીના મહિમાને પામી શકે નહી.
આવો મહાદેવજીનો મહિમા છે. સદાશિવ એવા હોય છે, જેમને પ્રસન્ન કરવા વસ્ત્ર આભુષણો કે છપ્પનભોગને બદલે માત્ર એક લોટો જળ અને હ્રદયના નિર્દોષ પ્રેમની જરૂર છે.
આ જગત અને માનવજીવન પણ તત્વ , સત્વ , રજસ, તમ ના સહારે ચાલે છે. ત્રિશુલના પ્રતિક તરીકે આ ત્રણે તત્વોને મુઠ્ઠીમાં ધારણ કરી તત્વથી પર મહાદેવ બની રહે છે.
એક રાજા મહાદેવજીનો પરમભકત તે પુરી શ્રધ્ધા સાથે ભોળાનાથની સેવા પૂજા કરતો. સમય જતા તેને ત્યાં પુત્રીનો જન્મ થયો. રાજ્યમહેલમાં આનંદ ઉતસવ થઇ ગયો. દિકરી સ્વરૂપવાન અને તેજસ્વી હતી. રાજાએ જ્યોતીષીને બોલાવી દિકરીની જન્મકુંડળી બનાવી અને રાજાને કહ્યુ મહારાજ આપની દિકરી યુવાન વયે વિધવા થશે. આ વાતથી રાજમહેલમાં ગમગીની છવાઇ ગઇ. તેમની દિકરી પર કોઇ અસર થઇ નહી તે યાજ્ઞવલ્ત્ય મુનીની પત્ની મેત્રૈયી પાસે ગઇ અને નમ્રભાવે કહ્યુ માતાજી! હુ આપની શરણે આવી છુ.મારા સૌભાગ્ય અભિવૃધ્ધી થાય તેવા મને આશિષ આપો. અને ત્યારે મેત્રૈયીએ કહ્યુ બેટા ! તુ શંકર પાર્વતીના શરણે જા. તેમનુ પૂજન કર. તારી મનોકામના પૂર્ણ થશે.
ઋષિ પત્નીના ઉપદેશ અનુસાર રાજકુમારીએ દર સોમવારે શ્રધ્ધાપુર્વક શંકર પાર્વતીનું પૂજન ઉપાસના શરૂ કરી.
દરમ્યાન રાજા નળના પૌત્ર રાજકુમાર ચંદ્રાગદ સાથે રાજકુમારી સીમંતીના વિવાહ સંપન્ન થયા.
બીજે દિ' રાજકુમાર યમુના નદીમાં નહાવા ગયો અને તે નદીમાં ડુબી ગયો. સર્વત્ર શોક છવાયો. સીમંતિ મુર્છીત બની ગઇ . સૌ વડીલોએ આશ્વાસન આપ્યુ. વૈધવ્ય પછી પણ રાજકુમારીએ સોમવારનુ વ્રત ચાલુ રાખ્યુ. ત્રણ વર્ષ સુધી શ્રધ્ધા ભકિતભાવથી મહાદેવની ઉપાસના કરતી રહી .
યમુનામાં ડુબેલા રાજકુમારને નાગબંધુઓ પાતાળમાં લઇ ગયા. રાજકુમારે નાગરાજ તક્ષકને પોતાની ઓળખ આપી . અને પોતે શિવભકત છે એવી વાત કરી ત્યારે નાગરાજે તમારૂ કલ્યાણ થાઓ કહ્યુ. રાજકુમારે બધી વાત કરી અને પછી નાગરાજ તક્ષકની કૃપાથી રાજકુમાર ચંદ્રાગ્રહ એ યમુના તટ પર વિહરવા લાગ્યો.
સીમંતીએ રાજકુમારને નિહાળ્યો, તેના આનંદનો પાર રહ્યો નહી. રાજકુમાર જીવીત છે. એવા સમાચાર સર્વત્ર ફેલાઇ ગયા. અને પછી રાજકુમાર સીમંતીની પોતાની રાજધાનીમાં લઇ ગયો. આમ સોમવારના વ્રતથી રાજકુમારી સીમંતીને સૌભાગ્ય પ્રાપ્ત થયુ. શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની ઉપાસના અને શ્રધ્ધાપૂર્વકની ભાવના સાથે પુજા પ્રાર્થનાથી ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે.
દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪