Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

વેક્સિનની કોને જરૂર છે તેની ચર્ચા પણ હાસ્યાસ્પદ : રાહુલ ગાંધી

૪૫થી વધુની વયનાને રસી આપવાના નિર્ણયનો વિરોધ : દરેક ભારતીયને સુરક્ષિત જીવન પામવાનો અધિકાર હોવાનું જણાવી કોંગ્રેસના નેતા વય મર્યાદાના વિરોધમાં જોડાયા

 નવી દિલ્હી, તા. ૭ : દેશમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે હવે ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી લેવાની છૂટ આપી છે. જોકે દેશમાં એવી માંગ ઉઠી રહી છે કે, રસીકરણ માટે કોઈ વયમર્યાદા હોવી જોઈએ નહીં. તમામ લોકોને રસી લેવાની મંજૂરી સરકારે આપવી જોઈએ.

આ માંગણીમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા છે. રાહુલ ગાંધીનુ કહેવુ છે કે, રસીની જરુર કોને છે અને કોને નહીં તેના પર ચર્ચા કરવી પણ હાસ્યાસ્પદ છે.દરેક ભારતીયને સુરક્ષિત જીવન પામવાનો અધિકારક છે.

સાથે સાથે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોરોના સામેની લડાઈમાં આપણા સ્વાસ્થય કર્મી સાચા અર્થમાં કોરોના વોરિયર છે. હું નાગરિકોની રક્ષા કરવા માટેની તેમની કટિબધ્ધતા અને સમપર્ણ માટે તેમને સલામ કરુ છું અને તેમના પરિવારજનોનો પણ આભાર માનુ છું. આ વાઇરસને કાબૂમાં લેવા માટે દેશના દરેક નાગરિકે પોતાની ભૂમિકા ભજવવી પડશે. આ માટે આપણે માસ્ક પહેરવો પડશે અને તમામ પ્રોટોકોલનુ પાલન કરવુ પડશે.

બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, રસીકરણ માટે સરકારે પૂરતી તૈયારી નથી કરી. જેના કારણે ઘણી જગ્યાએ રસીની અછત ઉભી થઈ છે.પીએમ મોદીએ સમયાંતરે તમામ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવી જોઈએ.જેથી કોરોના સામે તમામ પક્ષો ભેગા મળીને લડાઈ લડી શકે.

(8:12 pm IST)