Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

હું સરકારને ૭૨ કલાકનો સમય આપુ છું, નહીંતર હું જાતે બદલો લઇશઃ શહીદ ઔરંગઝેબના પિતાનું મોદી સરકારને અલ્ટીમેટમ

પુલવામાઃ ગુરૂવારે ઇદની રજાએ ઘરે જઇ રહેલ ભારતીય સેનાના જવાન ઔરંગઝેબનું આતંકવાદીઓએ પહેલા પુલવામાના કાલમ્પોરાથી અપહરણ કર્યું હતું અને બાદમાં ગોળી મારી હત્યા કરી હતી. ઇદના તહેવારમાં પૂંછમાં રહેનાર ઔરંગઝેબના પૈતૃક ગામમાં આ ઘટનાને પગલે ઘેરા શોક સાથે સન્નાટો છવાયો છે. ઔરંગઝેબના પરિવારજનોની હાલત ગંભીર છે. આતંકવાદીઓએ ઔરંગઝેબની માતાને કહ્યું હતું કે, તે પોતાના પુત્ર સાથે ઇદ મનાવવા ઇચ્છે છે પરંતુ આતંકવાદીઓએ ગોળીથી છલની કરેલ ઔરંગઝેબનો પાર્થિવ દેહ મોકલ્યો હતો.  આ ઘટનાથી વ્યથિત થઇને શહીદ જવાનના પિતાએ સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું કે, હું સરકારને 72 કલાકનો સમય આપું છું નહીંતર હું જાતે બદલો લઇશ. 

ઔરંગઝેબના પિતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આતંકવાદીઓએ મારા પુત્રનું અપહરણ કર્યું હતું. કાશ્મીરથી આતંકવાદીઓનો 2003થી સફાયો નથી કરી શકાયો. નરાધમોએ મારા પુત્રને ઘરે ન આવવા દીધો. શ્રીનગરમાં જે કોઇ પણ નેતાઓ છે એમને બહાર કાઢવા જોઇએ. હું મોદીજીને 72 કલાકનો સમય આપું છું નહીં તો હું જાતે બદલો લેવા માટે તૈયાર છું. ઇન્ડિયન આર્મી દેશ માટે જાન કુરબાન કરે છે પરંતુ અમારા માટે કંઇ નથી થતું. 

અહીં આપને જણાવીએ કે, ઔરંગઝેબના કાકાને પણ 2004માં આતંકીઓએ માર્યા હતા. ઔરંગઝેબના કુલ છ ભાઇ છે. જે પૈકી ઔરંગઝેબ અને એક ભાઇ આર્મીમાં જ્યારે અન્ય ચાર ભાઇ અભ્યાસ કરે છે. ઔરંગઝેબના પિતા પણ સેનામાં હતા અને હાલમાં નિવૃત છે. 

ભારતીય ગુપ્તચર એજન્સીના સુત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં પોતાની પકડને પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇ ઢીલી પડવા દેવા નથી ઇચ્છતું અને એ કારણોસર જ ભારતના શાંતિના પગલાં પર પાણી ફેરવવા માટે કાશ્મીરમાં આતંકી હુમલા કરાવી રહ્યું છે. ભારતીય સેનાના જવાન ઔરંગઝેબની હત્યા આ કારણોસર જ કરવામાં આવી છે. ગુરૂવારે સેનાના જવાન ઔરંગઝેબની હત્યા પણ આ કારણોથી જ કરવામાં આવી કે જેથી લોકોમાં આતંકીઓનો ડર બરકરાર રહે.

(12:00 am IST)