Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રિપબ્લિક ટી.વી.ચીફ અર્ણબ ગોસ્વામીના જામીન મંજુર : સુપ્રીમ કોર્ટએ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી : નાગરિકોની આઝાદીની રક્ષા કરી ન શકતા હો તો તે માટે સુપ્રીમ કોર્ટ છે : અર્ણબ ગોસ્વામી ,ફિરોઝ શેખ તથા નિતેશ શારદા ને 50 હજાર રૂપિયાની જાત જામીનગીરી ઉપર મુક્ત કર્યા : 2018 ની સાલમાં ઈંટીરિઅર ડિઝાઈનર તથા તેની માતાને આત્મહત્યા માટે મજબુર કરવાનો આરોપ હતો


ન્યુદિલ્હી : રિપબ્લિક ટી.વી.ના ચીફ અર્ણબ ગોસ્વામીના વચગાળાના જામીન મુંબઈ હાઇકોર્ટે 9 નવેમ્બરના રોજ  નામંજૂર કરતા તેમણે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.જેની આજરોજ સુનાવણી થતા નામદાર કોર્ટે અર્ણબ ગોસ્વામી તથા તેના સાથીદારો ફિરોઝ શેખ અને નિતેશ શારદાને 50 હજાર રૂપિયાની જાત જામીનગીરી ઉપર મુક્ત કર્યા છે.

ગોસ્વામી ઉપર 2018 ની સાલમાં ઈન્ટીરીઅર ડેકોરેટર તથા તેની માતાને આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આરોપ હતો.જે કેસ 2019 ની સાલમાં બંધ કરી દેવાયેલો જાહેર કરાયો હતો.તે અંગે ફરીથી 2020 ની સાલમાં ફરિયાદ કરાતા અર્ણબ ગોસાંઈ તથા તેના બે સાથીદારોની ધરપકડ કરાઈ હતી.તથા 4 નવેમ્બરના રોજ તેઓને 14 દિવસ  માટે હિરાસતમાં લેવાયા હતા .

જેની સામે નીચલી કોર્ટે જામીન મંજુર નહીં કરતા મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી જે નામંજૂર કરવામાં આવી હતી તથા નીચલી કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે આદેશ કરાયો હતો.જેથી નીચલી કોર્ટમાં પણ સુનાવણી ચાલુ છે.તે દરમિયાન ગોસ્વામીએ 9 નવેમ્બરના રોજ  મુંબઈ હાઇકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કરતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

જેની સુનાવણી આજ બુધવારના રોજ કરાઈ હતી. જે અંતર્ગત  ગોસ્વામી વતી એડવોકેટ હરીશ સાલ્વે એ કરેલી દલીલોને માન્ય રાખી નામદાર કોર્ટે ત્રણે આરોપીઓના જામીન મંજુર કરવાની સાથે મહારાષ્ટ્ર સરકારને ફિટકાર લગાવી હતી. તથા જણાવ્યું હતું કે તમે નાગરિકની આઝાદીની રક્ષા ન  કરી શકતા હો તો તે માટે સુપ્રીમ કોર્ટ છે.
નામદાર કોર્ટે જરૂર પડ્યે હાજર થવા તથા તપાસમાં પુરેપુરો સહકાર આપવા ત્રણે આરોપીઓને હુકમ કર્યો હતો તેવું હી.ટા.દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)