Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગુજરાત રાજ્યમાં માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ- કોલેજીસ ર૩મી નવેમ્બરથી ફરી કાર્યરત થશે : શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧ર અને કોલેજ કક્ષાએ પ્રથમ તબક્કે પોસ્ટગ્રેજ્યુએટ-મેડીકલ-પેરામેડીકલ- આઇ.ટી.આઇ-પોલિટેકનીક શરૂ કરાશે : સ્નાતક-ગ્રેજ્યુએટ કક્ષાના માત્ર છેલ્લા વર્ષ ફાયનલ ઇયરના – ઇજનેરી વિદ્યાશાખાના ફાયનલ ઇયરના વર્ગો શરૂ કરવા દેવાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વપૂર્ણ નિર્ણય : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત

ભારત સરકારની SOPનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે : હાલની ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા યથાવત રખાશે : વિદ્યાર્થીની હાજરી ફરજીયાત રાખવામાં આવી નથી : શૈક્ષણિક સંસ્થાએ શાળામાં વિદ્યાર્થી-બાળકના આવવા માટે માતા-પિતા-વાલીની સંમતિ મેળવવાની રહેશે : શાળામાં ભીડભાડ નિવારવા ઓડ-ઇવન પદ્ધતિનો અમલ કરવા સુચન : સપ્તાહમાં ત્રણ દિવસ ધો-૯ અને ૧૧ : ત્રણ દિવસ ધો-૧૦ અને ૧રનું ભૌતિક શિક્ષણ કાર્ય ચાલુ રહેશે : ફરજિયાત માસ્ક-સેનિટાઇઝર-સાબુનો હાથ ધોવામાં ઉપયોગ-બેઠક વ્યવસ્થામાં ૬ ફૂટનું અંતર શાળા પ્રવેશ વખતે થર્મલ ગનથી સ્ક્રીનીંગની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની તાકીદ : સામુહિક પ્રાર્થના-મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ થઇ શકશે નહી

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય  ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*.

*શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે  એ  આ નિર્ણયની વિગતો આપી હતી*.

તેમણે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણ કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી શાળા-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ તે આશયથી બંધ કરવામાં આવી હતી. 

વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં  શિક્ષણ વિભાગે ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા શરૂ કરીને સફળતાપૂર્વક અમલ પણ કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં લોકડાઉન અને હવે અનલોક ૧ થી પાંચ ના વિવિધ તબક્કાઓમાં જનજીવન, આર્થિક, ઔદ્યોગિક ગતિવિધિઓ અટકવા દીધી નથી. એટલું જ નહિ, ઓનલાઇન શિક્ષણ શાળા-કોલેજના બાળકો વિદ્યાર્થીઓને ઘરે બેઠાં મળે તે સુનિશ્ચિત કર્યુ છે, એમ તેમણે ઉમેર્યુ હતું. 

હવે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકારે આ અનલોક-પ માં ભારત સરકારના દિશાનિર્દેશો અને ગાઇડ લાઇનના અનુપાલન અને બાળકોના આરોગ્યની જાળવણીની પૂરી તકેદારી સાથે રાજયમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પૂન: શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 

તદઅનુસાર, દિવાળીના તહેવારો પછી એટલે કે તા.ર૩મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજો તથા યુનિવર્સિટીઝમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે તેની વિસ્તૃત વિગતો શિક્ષણ મંત્રીશ્રીએ આપી હતી. 

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ નિર્ણયના અંતિમ નિષ્કર્ષ પર આવતાં પહેલાં શિક્ષણ વિભાગ, શાળા-કોલેજ, યુનિવર્સિટીના સંચાલકો-શિક્ષણવિદો એમ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકોનો દૌર યોજી, સૌના મત મેળવીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની મંત્રીમંડળની બેઠકમાં પણ એ નિર્ણયને સર્વાનુમતે મંજૂરી આપી છે. 

શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. 

ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા પોલિટેકનીક કોલેજીસ પણ તા.ર૩મી નવેમ્બરથી કાર્યરત થશે. 

શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમાએ જણાવ્યું કે, ભારત સરકારની એસ.ઓ.પી.ને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.

શાળા-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સીપાલે ગોઠવવાની સૂચનાઓ પણ અનુસરવા તાકીદ કરવામાં આવી છે.

આ હેતુસર રાજ્ય સરકારે ઓડ ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.

વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠાં એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે. 

રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ એસ.ઓ.પી સમાન રીતે લાગુ પડશે. 

આગામી તા.ર૩ નવેમ્બરથી રાજ્યમાં ધો-૯ થી ૧રની શાળાઓ તેમજ પી.જી, મેડીકલ-પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાયનલ ઇયરના વર્ગો શરૂ થશે. 

બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે કહ્યું કે વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રાખવામાં આવી નથી.  

શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે, તેવું પણ સૂચવાયું છે.  

દરેક વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું. 

વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે. જો કલાસરૂમનું કદ નાનું હોય તો કોમ્પ્યુટર હોલ, લેબોરેટરી, લાયબ્રેરીનો ઉપયોગ વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા માટે કરવાની પ્ણ શાળા-કોલેજોને SOP આપવામાં આવી છે. 

શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. 

વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય તેમજ શાળા-કોલેજથી નજીકના અંતરે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે. 

સામુહિક પ્રાર્થના – મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે. 

વાલીઓ તેમના વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કુલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે. તેની ભૂમિકા શિક્ષણ મંત્રીશ્રીએ આપી હતી. 

શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, સ્કુલ બસ તરીકે ઉપયોગમાં લેવાતા વાહનને દિવસમાં ઓછામાં ઓછું બે વાર સેનિટાઇઝ કરવા તેમજ આવા વાહનની બારીના પડદા-કાચ ખૂલ્લા રાખવાની પણ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. 

તેમણે ઉમેર્યુ કે, ભારત સરકારની SOPના અનુપાલન સાથે શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ ડી.ઇ.ઓ વગેરેના સહયોગથી રાજ્યમાં તા.ર૩મી નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

(4:55 pm IST)