Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જે વ્‍યક્તિઓ પાસે પાનકાર્ડ અને આધારકાર્ડ બંને હોય તેમના માટે બંનેને લિન્ક કરાવવુ કાયદાકીય રીતે જરૂરી

મુંબઇ : હાલમાં બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકારે આવકવેરા ચૂકવનારાઓને નાણાકીય વર્ષ 2019-20માં ભારે રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સિતારામેને ઈન્કમટેક્સ રીટર્ન (ITR) દાખલ કરવા માટે પાન નંબરની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. સંસદમાં બજેટ રજૂ કરતાં નાણા પ્રધાને કહ્યું કે, હવે દેશમાં 120 કરોડથી વધુ લોકો પાસે આધાર નંબર છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે દેશની કોઈપણ વ્યક્તિ ITR ભરવા માટે પાન નંબરને બદલે આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે. જો કે, આધાર નંબરનો ઉપયોગ પાન નંબર ન હોય તો જ કરવામાં આવશે.

જોકે આધારથી ITR ફાઇલ કરવાથી પાન કાર્ડ નકામા નહીં થાય કારણ કે આ તો એક વધારાની સુવિધા છે જેથી વધારેને વધારે લોકો રિટર્ન ફાઇલ કરી શકે છે. સીબીડીટી પ્રમાણે બજેટમાં પાન અને આધારના ડેટાબેસને એકબીજાની જગ્યાએ વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી વ્યવસ્થા પ્રમાણે જે વ્યક્તિઓ આધાર કાર્ડથી રિટર્ન ભરે તેને ભવિષ્ય પાન કાર્ડ ફાળવવાનું પણ સરકાર વિચારી શકે છે. જે વ્યક્તિઓ પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને હોય તેમના માટે બંનેને લિન્ક કરાવવાનું કાયદાકીય રીતે જરૂરી છે.

હકીકતમાં છેલ્લા કેટલાક સમયમાં દેશમાં ટેક્સપેયર્સની સંખ્યામાં સારો એવો વધારો થયો છે પણ આમ છતાં દેશમાં માત્ર 22 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક કરાવ્યું છે. આંકડા પ્રમાણે દેશમાં 120 કરોડ કરતા વધારે લોકો પાસે આધાર કાર્ડ છે. આ સંજોગોમાં બાકીના ટેક્સપેયર્સને ટેક્સ ભરવાની પ્રેરણા આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

(4:26 pm IST)