Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોના વાયરસ

ઇકોનોમી પર માઠી અસરઃ જઈ શકે છે ૫૨ ટકા નોકરીઓઃ સીઆઇઆઇ

'ચાલુ કવાર્ટર (એપ્રિલ-જૂન) અને ગત કવાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન મોટાભાગની કંપનીઓની આવકમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો આવવાની આશંકા

નવી દિલ્હી, તા.૬: કોરોના વાયરસના સામુદાયિક વિસ્તરણને રોકવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની અર્થવ્યવસ્થા પર માઠી અસર પડશે. ભારતીય ઉદ્યોગ પરિસંદ્ય (CII)એ એક સર્વેક્ષણમાં ભારે સંખ્યામાં લોકોની નોકરી જાય તેવી આશંકા વ્યકત કરી છે. સીઆઈઆઈએ આશરે ૨૦૦ મુખ્ય કાર્યકારી અધિકારીઓની વચ્ચે કરેલા ઓનલાઈન સર્વેક્ષણ 'CII CEO સ્નેપ પોલ' અનુસાર ડિમાન્ડમાં ઘટાડાથી મોટાભાગની કંપનીઓની આવક ઘટી છે. આનાથી નોકરીઓ જવાની આશંકા છે.

 

સર્વેક્ષણ અનુસાર, 'ચાલુ કવાર્ટર (એપ્રિલ-જૂન) અને ગત કવાર્ટર (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન મોટાભાગની કંપનીઓની આવકમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો આવવાની આશંકા છે અને આનાથી તેમનો લાભ બંને કવાર્ટરમાં પાંચ ટકાથી વધુ ઘટી શકે છે.'

 

CIIએ કહ્યું, 'ઘરેલૂ કંપનીઓની આવક અને લાભ બંનેમાં આ ઝડપી ઘટાડાની અસર દેશના આર્થિક વૃદ્ઘિ દર પર પણ પડશે. રોજગારના સ્તરે આનાથી સંબંધિત ક્ષેત્રોમાં ૫૨ ટકા સુધી નોકરીઓ ઘટી શકે છે.' સર્વે અનુસાર, લોકડાઉન પૂરું થયા બાદ ૪૭ ટકા કંપનીઓમાં ૧૫ ટકાથી વધુ નોકરીઓ જવાની શકયતા છે. બીજી તરફ ૩૨ ટકા કંપનીઓમાં નોકરીઓ જવાનો દર ૧૫ થી ૩૦ ટકા રહેશે.

રિપોર્ટ અનુસાર, લોકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને આશરે ૧૨૦ અબજ ડોલરનું નુકસાન થશે, જે GDPના ચાર ટકા છે. આમાંથી ૯૦ અબજ ડોલરનું નુકસાન લોકડાઉનનો સમયગાળો વધવાથી થશે. સ્પષ્ટ છે કે, આની અસર જીડીપીના વિકાસ દર પર પણ પડશે.

કોરોના વાયરસ મહામારી રોકવા માટે દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનની અર્થવ્યવસ્થા અત્યંત માઠી અસર પડવા જઈ રહી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે શુક્રવારે કહ્યું કે, તેને ભારતમાં વિકાસ અનુમાનોને ઘટાડીને ૨ ટકા કરી દીધા છે. આ ૩૦ વર્ષનું સૌથી નિમ્ન સ્તર હશે. પહેલા તેણે અનુમાન ઘટાડીને ૫.૧ ટકા કર્યું હતું.(૨૩.૪)

(11:35 am IST)