Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિક પટેલના નિર્જળા ઉપવાસનો અંત એસ.પી. સ્વામીના હસ્તે પાણી પીધું

આમરણાંત ઉપવાસ ચાલુઃ અનાજ નહિ લ્યેઃ હાર્દિકના સમર્થનમાં અનેક સ્થળોએ પ્રતિક ઉપવાસ-રામધૂન

રાજકોટ તા. ૧ : પાટીદારો માટે શિક્ષણ - નોકરીમાં અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ૮ દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા પાસ સુપ્રીમો શ્રી હાર્દિક પટેલે આજે સવારે પૂ. એસ.પી. સ્વામીના હસ્તે પાણી ગ્રહણ કરી નિર્જળા ઉપવાસ છોડયા  હોવાનું પાસના અગ્રણી શ્રી નિખીલ સવાણીએ અકિલાને જણાવ્યું છે. જો કે શ્રી હાર્દિક પટેલ પોતાનું આંદોલન ચાલુ રાખશે અને અનાજ નહિ લ્યે. આજે તેમના આમરણાંત ઉપવાસનો ૮મો દિવસ છે અને નિર્જળા ઉપવાસનો ત્રીજો દિવસ છે. તેમની તબિયત ગંભીર બનતી જતી હતી.

આ પહેલાના અહેવાલો મુજબ પાટીદાર સમાજને અનામત અને ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉમટેલા હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતના સેંકડો સ્થળોએ પ્રતિક ઉપવાસ અને રામધુન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

હાર્દિક પટેલની મુલાકાતે આજે પણ અનેક રાજકીય અગ્રણીઓ અને સાધુ - સંતો તેમજ સામાજીક અગ્રણીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે.

હાર્દિક પટેલના સમર્થનમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હજારો પાટીદારો વરસાદ ચાલુ છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલે અન્ન ત્યાગ પછી જળ ત્યાગ પણ કરી દેતા આમરણ ઉપવાસના સાતમા દિવસે તેના સ્વાસ્થ્ય પર ઝડપથી વિપરીત અસર થઇ રહી છે. બીજી તરફ ભાજપ સરકાર તરફથી હજુ સુધી કોઇ પ્રતિભાવ મળ્યો નથી કે તેવા અણસાર નથી તેથી લડત લંબાઇ શકે છે. જેના કારણે પાસના કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા જો લડત ચાલુ રાખવી હોય તો પાણી પીને ઉપવાસ કરવા ભારે દબાણ કરવામાં આવ્યું છે. આ માટે ગઢડાના એસ.પી. સ્વામીની પણ મદદ લઇને તેમણે હાર્દિકની મુલાકાત વખતે પાણી પીવાનું ચાલુ રાખવા ખાસ આગ્રહ કરતા હાર્દિક ભાવુક થઇને રડી પડ્યો હતો. એસ.પી. સ્વામીએ હાર્દિકની માગણી સ્વીકારવા સરકારને વિનંતી કરી છે. દરમિયાન સરકાર પર દબાણ લાવવા હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર પ્રતિક ઉપવાસ અને રામધૂનના કાર્યક્રમ શરૂ થવા પામ્યા છે.

હાર્દિકના ઉપવાસના આઠમા દિવસે લગભગ છ કિલો જેટલુ વજન ઘટી જવા પામ્યું છે. તેને મળવા દિવસભર મુલાકાતીઓનો ધસારો જારી રહ્યો હતો. જો કે આ બધામાં સાંજે મળવા આવેલા ગઢડાના એસ. પી. સ્વામીએ તેની સાથે વાત કર્યા બાદ પાણી નહીં છોડવા સમજાવતા હાર્દિક રડી પડયો હતો. એસ.પી. સ્વામીએ કહ્યું હતું કે, પાણી છોડવાના કારણે તેને ચક્કર આવી રહ્યા છે. તેથી તેને સમર્થકો દ્વારા પણ પાણી પીવા માટે આગ્રહ રખાતા તમે બધા મારા કારણે હેરાન થાવ છે તેમ કહેતા રડી પડ્યો હતો અને તેણે કાલ સુધી વિચારીને કહીશ તેમ કહ્યું છે. એસ. પી. સ્વામીની સમજાવટ વખતે ઉપસ્થિત પાસના કાર્યકરોએ પણ જય સરદારના નારા સાથે હાર્દિક પાણી પીવે તે માટે સમર્થન આપ્યું હતું. એસ.પી. સ્વામીએ કહ્યું હતું કે, સરકારને વિનંતી છે કે કોઇક રીતે હાર્દિકની ભાવના સ્વીકારે અને વાટાઘાટ કરે.

ઙ્ગદરમિયાન હાર્દિકની તબિયત વધુ ખરાબ થઇ રહી હોવાના અણસાર શરૂ થતા પોલીસ અને ભાજપ સરકાર ઉંઘતી ના ઝડપાઇ જાય એટલે પાસના અગ્રણી નિખિલ સવાણીને લેખિતમાં સોલા પોલીસની હદમાં ઉપવાસ સ્થળ આવતું હોવાથી ઇન્સ્પેકટર દ્વારા જણાવાયું છે કે, હાર્દિક સાતમા દિવસે ઉપવાસ પર છે. તેની તબિયતને ધ્યાનમાં રાખીને એક એમ્બ્યુલન્સ તેના નિવાસ સ્થાને ૨૪ કલાક તૈનાત રખાશે. જેથી હાર્દિકને તકલીફ વધે તો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર માટે લઇ જઇ શકાય.

ઙ્ગજો કે સોલા પોલીસના આ પત્ર પછી પણ એમ્બ્યુલન્સ નિવાસ સ્થાને આવી નહીં હોવાનું પાસ દ્વારા જણાવાયું હતું. જો હાર્દિકની તબિયતની ચિંતા હોય તો નિવાસ સ્થાને જ એમ્બ્યુલન્સ રાખવા પણ માગણી કરાઇ છે. સરકાર વહેલી તકે માગણીઓ સ્વીકારે અને હાર્દિકના સ્વાસ્થ્ય સારૂ રહે તેમજ સમર્થનમાં અમદાવાદના વ સ્ત્રાલમાં સવારે રામધૂનનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તે ઉપરાંત ઘૂમા, સુરેન્દ્રનગર, સુરત તથા સાબરકાંઠાના અનેક ગામમાં પણ ઉપવાસ-દેખાવો યોજાયા હતા.(૨૧.૧૭)

(3:34 pm IST)