Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોદી સરકારને ગબડાવવા માઓવાદી સક્રિય થયા છે

માઓવાદીઓ હથિયાર ખરીદવા ઇચ્છુક હતા : દરોડાની કાર્યવાહીને લઇને છેડાયેલી ચર્ચા વચ્ચે મહારાષ્ટ્ર પોલીસે ચોંકાવનારી વિગતો આપી : દસ્તાવેજો રજૂ કરાયા

મુંબઈ, તા. ૩૧ : માઓવાદીઓના શુભચિંતકોની સામે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ દેશભરમાં છેડાયેલી જોરદાર ચર્ચા વચ્ચે મહારાષ્ટ્ર પોલીસે આજે કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી. મહારાષ્ટ્રના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પરમવીરસિંહે આજે કહ્યું હતું કે, માઓવાદીઓની સામે કાર્યવાહી પુરાવાના આધાર પર કરવામાં આવી છે. દરોડા દરમિયાન કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે. પોલીસે આક્ષેપ કરતા કહ્યું છે કે, માઓવાદીઓના કાવતરા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડીને સરકારને ગબડાવી દેવાની રહી છે. એક ત્રાસવાદી સંગઠન પણ આ કાવતરામાં માઓવાદીની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પોલીસે માઓવાદીઓના કેટલાક પત્રો જાહેર કરતા આક્ષેપ કર્યો હતો કે, માઓવાદી મોદી રાજને ખતમ કરવા માટે હથિયારો અને ગ્રેનેડ ખરીદવા ઇચ્છુક હતા. માઓવાદી એમ-૪ ગ્રેનેડ લોન્ચરના ચાર લાખ રાઉન્ડ ખરીદવા ઇચ્છુક હતા. માઓવાદીઓની પાસે પહેલાથી જ રશિયામાં બનેલા જીએમ-૯૪ ગ્રેનેડ લોન્ચર રહેલા છે. એક અન્ય પત્રમાં રાજીવ ગાંધી જેવી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રોમાં કાશ્મીરી કટ્ટરપંથીઓની સાથે મળીને હુમલા કરવાની વાત કરવામાં આવી છે. સિંહે કહ્યું હતું કે, દરોડાની કાર્યવાહી દરમિયાન વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જે સાબિત કરે છે કે, કાયદો અને વ્યવસ્થાને બગાડવા માટે યોજના તૈયાર થઇ રહી હતી. મોદી સરકારને ગબડાવવાના પ્રયાસ થઇ રહ્યા હતા. દરોડાની કાર્યવાહીને લઇને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. વિડિયો ગ્રાફીને લઇને તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. પરમવીરસિંહે સુધા ભારદ્વાજના એક પત્રને વાંચીને કહ્યું હતું કે, આ પત્રમાં તેવી બાબતોનો ઉલ્લેખ છે. તેમણે ઉમેર્યું હતું કે, ૮મી જાન્યુઆરીના દિવસે તપાસ શરૂ થઇ હતી. છઠ્ઠી માર્ચના દિવસે આ કેસમાં બીજા બે નામ સપાટી ઉપર આવ્યા હતા જેમાં સુરેન્દ્ર ગાડલીન અને રોના વિલ્સનનો સમાવેશ થાય છે.

તપાસ બાદ પોલીસ એવા તારણ ઉપર પહોંચી હતી કે, આગળ કાર્યવાહી થઇ શકે છે જેથી ૧૭મી એપ્રિલના દિવસે છ જગ્યાએ દરોડા પડાયા હતા અને આના ભાગરુપે દિલ્હીમાં રોના વિલ્સન, નાગપુરમાં ગાડલીંગ, સુધીર ધવલેને ત્યાં મુંબઈમાં અને અન્યત્ર દરોડા પડાયા હતા. પુરાવાને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં એવી માહિતી મળી હતી કે, ખથુબ મોટુ કાવતરુ ઘડવામાં આવી રહ્યું હતું. આતંકવાદી સંગઠનો પણ આમા સામેલ હતા. પોલીસના કહેવા મુજબ મામલામાં તપાસ ૮મી જાન્યુઆરીના દિવસે શરૂ થઇ હતી. ત્યારબાદ છ લોકોની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા કવિ  વરવરા અને અન્યોના સંબંધ માઓવાદીઓ સાથે હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે.

(8:57 am IST)