Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

તરોપા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ કોરોના મહામારી ની માહિતી મેળવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  સાંસદ મનસુખ વસાવાએ નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સેન્ટર તરોપાની મુલાકાત લીધી હતી .
તરોપા આરોગ્ય કેન્દ્ર સાથે ૨૨ જેટલા ગામો જોડાયેલા છે. આ સેન્ટર પર સ્ટાફ ખુબ જ ઓછો છે, ડોક્ટર સહીત ૦૫ વ્યક્તિઓનો સ્ટાફ છે, છતાં પણ આ સ્ટાફ ૨૨ ગામોનો સંપર્ક કરે છે અને કોરોના મહામારીને રોકવા માટેના તમામ ઉપાયો તથા વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લે તેવા પ્રયાસો કરી રહ્યા છે. જે ખરેખર અભિનંદનને પાત્ર છે.
પરંતુ ગામડાના લોકો કોરોના મહામારીથી ખુબ જ ભયભીત છે, વેક્સીન લેવામાં પણ તેઓ અનેક પ્રકારની મુંજવણો અનુભવી રહ્યા છે, જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ ગામોની પ્રા. શાળાઓમાં આઇસોલેશન સેન્ટરો ચાલુ થઈ રહ્યા છે. તેમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા આશાવર્કર બહેનો કામગીરી કરવાનાં છે, તે માટે નોડલ ઓફિસરને જિલ્લા તરફથી મુકવામાં આવ્યા છે. પરંતુ કેટલાક શિક્ષકોને મુંજવણ છે કે પ્રા. આરોગ્ય કેન્દ્રના સેન્ટરો પર કોરોના સંક્રમિત દર્દીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવા માટે તેઓ મુંજવણ અનુભવે છે, તે બાબતની માહિતી અન્ય પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે થી જાણવા મળી, તો આ માટે જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમની મુંજવણનો અંત લાવવામાં આવશે. મુંજવણ અને અનેક સમસ્યાઓ છે છતાં પણ કોરોના મહામારીને વધતી રોકવા માટે આપણે સૌ એ સામુહિક સહિયારા પ્રયત્નો કરવા પડશે. તેથી દરેક ગ્રામ પંચાયતના સરપંચઓને તેઓએ નમ્ર અપીલ કરી હતી તથા કોરોના વોરિયસની તમામ ટીમોને આપણે પૂરતો સહયોગ આપીએ તેવુ મનસુખભાઇ એ જણાવ્યુ હતુ.
 પ્રાથમિક આરોગ્ય સેન્ટરની મુલાકાતમાં મનસુખભાઇ સાથે ભાજપ અગ્રણી રાજુભાઈ વસાવા, દિનેશભાઇ પટેલ, સોમભાઈ પટેલ તથા આમલેથા તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈ વસાવા, કુંવરપુરા ગામના સરપંચ નિરંજન વસાવા હાજર રહ્યા હતા.તેમજ સ્થળ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તથા તેમનો સ્ટાફ અને નોડલ ઓફિસર પાર્વતીબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

(11:12 pm IST)