Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમદાવાદમાં ખુદ ડોક્‍ટરો જ બિમારઃ બે હોસ્‍પિટલના 17 ડોક્‍ટરોને ટીબી થઇ ગયુઃ તમામ સારવાર હેઠળ

અમદાવાદ: MBBS કરીને ડોકટરની ડિગ્રી મેળવ્યા બાદ મેડીસીન, સર્જરી, પીડિયાટ્રિક, ઓર્થો, ગાયનેક, .એન.ટી જેવી બ્રાન્ચમાં ઉચ્ચ અભ્યાસ કરતા ડૉક્ટર રેસિડેન્ટ ડોક્ટર કહેવાય છે. SVP હોસ્પિટલને 24 કલાક ધમધમતી રાખવામાં રેસિડેન્ટ ડૉક્ટરોનો સિંહફાળો છે. પરંતુ દિવસરાત દર્દીઓની સારવાર કરતા 17 જેટલા પીજી રેસીડેન્ટ ડોકટરો TB એટલે કે ક્ષયની બીમારીથી પીડાઈ રહ્યા છે.

PG એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહેલા 17 ડોકટરો SVP હોસ્પીટલમાં જુદા જુદા વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો ડોકટરો પીડીયાટ્રીક, મેડીસીન, એનેસ્થેસિયા અને સર્જરી જેવા વિભાગમાં સેવા પણ આપી રહ્યા છે. 17માંથી 4 ડોકટરોની વાત કરવામાં આવે તો અત્યંત ગંભીર કહી શકાય એવો TB એટલે કે MDR(Multiple-drug resistant TB) થયો છે. જેની સારવાર 12 થી 18 મહિના ચાલતી હોય છે જેમાં શરુઆતના 2 મહિના માટે રોજ એન્ટી-TB ડ્રગના ઇન્જેકશન લેવાના હોય છે.

ડોકટરોને TB થવા પાછળના કારણોની તપાસ કરતા માલુમ પડ્યું કે, સતત દર્દીઓના સંપર્કમાં રહેવાથી, TBના દર્દીઓ માટે અલાયદા વોર્ડનો સદંતર અભાવ અને સમયની વ્યસ્તતા વચ્ચે પોતાની કાળજીનો અભાવ. તો બીજી તરફ ડૉક્ટર કવાટર્સની કથળેલી હાલત. જો કે 1 મહિના પહેલા નવી વિકસિત SVP હોસ્પિટલમાં હાલ તો તેઓને રૂમ ફાળવાયો છે. પરંતુ ત્યાં પણ અવારનવાર પાણી આવવાની સમસ્યા સર્જાય છે. તેમજ જમવાની વ્યવસ્થાનો અભાવ છે. ત્યારે હોસ્પિટલ કેમ્પસમાં જમવા માટેની રાત્રી-મેસનો અભાવ.

જ્યારે VS અને SVP હોસ્પીટલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી વિવાદાસ્પદ સ્થિતિ. તો બીજી તરફ બંને હોસ્પીટલમાં સર્વન્ટ-સિસ્ટર સ્ટાફ અલગ છે. પરંતુ ડોકટર સ્ટાફ 4 મહીના કરતા પણ વધુ સમયથી બંને બાજુ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સેન્ટ્રલ રેસીડેન્સી સ્કીમ 1993નું નામશેષ પાલન નહીં, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અઠવાડિયાના 48 કલાકથી વધુ કામ કરાવી શકાય. તેમજ અઠવાડિયાની એક રજા આપવી. અહીં તો રેસિડેન્ટ ડોકટરને અઠવાડિયામાં કે મહિનામાં એક પણ સામાન્ય કે જાહેર રજાનો લાભ મળતો નથી.

કેટકેટલી આશાથી 17 ડોકટરોને તેમના માં- બાપે નિષ્ણાત ડૉક્ટર બનવા માટે મોકલ્યા હશે. ત્યારે અભ્યાસ સાથે દર્દીઓની સારવાર કરતા પોતાના સંતાનોને ડોકટરની સાથો-સાથ દર્દી બનેલા જોઈએ માં-બાપ પર શું વીતતી હશે? હવે અહીં એક સવાલ થાય છે કે, જે વાડીલાલ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ બીમારીના લીધે રેસિડેન્ટ ડોકટરોનું મૃત્યુ થયેલ છે હોસ્પિટલમાં એક પછી એક 17 રેસિડેન્ટ ડોકટરોઓને TB થયો શું વાતનો તંત્રને ખ્યાલ નથી? જો ખ્યાલ છે તો અત્યાર સુધી તંત્ર શું પગલાં લીધા? અને જો ખ્યાલ નથી તો શું રીપોર્ટ જોયા બાદ SVPના સત્તાધીશો ડોકટરો અને તેમની સલામતી માટે જરૂરી પગલા લેશે ખરા?

(5:12 pm IST)