Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જરૂરિયાતમંદો સુધી ચીજો પહોંચાડવા માટે સુચના છે

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તરફથી કાર્યકરોને સુચના : કાર્યકરોના ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવીને ગરીબ, સિનિયર સિટિઝન, નબળા લોકોમાં પહોંચાડાશે : પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી

અમદાવાદ,તા.૨૮ : પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટેની કટિબદ્ધતા સાથે નાગરિકોને અગવડ ન પડે તેની ચિંતા સાથે વિવિધ નિર્ણય લઈ રહી છે ત્યારે આ સંવેદનશીલ સમયમાં આપણે સૌ પણ આપણા ઘરે રહીને આ લડત માં સહભાગી થઈએ તે આવશ્યક છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના સૂચન મુજબ ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો અને જરૂરિયાત મંદ પરિવારોને ભોજન, રાશન કીટ જેવી જરૂરી ચીજવસ્તુઓ ગુજરાતના તમામ જિલ્લાઓ-તાલુકા-મહાનગરમાં દરેક બુથ સુધી પહોંચે,

        કોઈ જરૂરિયાતમંદ વંચિત ન રહે તે સુનિશ્ચિત કરી ભાજપાના કાર્યકર્તાઓ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્રનો સહકાર લઈ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, એનજીઓને પણ સાથે રાખી આ સહાય રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડશે. વાઘાણીએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓના ઘરે પાંચ વ્યક્તિ માટે ભોજન બનાવી ગરીબ, સીનીયર સીટીઝન અને અશક્ત વ્યક્તિઓને પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત ભોજન માટે જરૂરી કાચી સામગ્રી જેવી કે લોટ, અનાજ, દાળ, તેલ, શાકભાજી અને જરૂરી અન્ય ચીજોની કીટ બનાવી જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. આ કાર્ય માટે પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાને પ્રદેશ ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

        આ રાહત કામગીરીમાં મદદરૂપ થવા માટે જિલ્લા/મહાનગર, મંડલ અને શક્તિકેન્દ્ર દીઠ બે કાર્યકર્તાઓને ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તેમજ સોશિયલ મીડિયા થકી વધારે ને વધારે લોકો સુધી મદદ પહોંચાડવા માટે આઇ.ટી સેલના બે કાર્યકર્તાઓને મંડલ દીઠ જવાબદારી સોંપવામાં આવશે તેમ વાઘાણીએ જણાવ્યું હતું. વાઘાણીએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓએ બીમાર, અશકત, જરૂરિયાતમંદોને દવા પહોંચે તેની ચિંતા કરવી. આ સમગ્ર રાહત કામગીરી દરમિયાન સૌ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી નિભાવે અને સંકટની ઘડીમાં જનતાની સેવામાં ખડે પગે રહે.

(7:43 pm IST)