Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગાંધીનગર બેઠકથી ભાજપ પ્રમુખ અમિત શાહની જીત નિશ્ચિત દેખાઈ

ગાંધીનગર ભાજપની વર્ષોથી પરંપરાગત સીટ : છેલ્લી ચૂંટણીમાં અડવાણીએ જીત મેળવી હતી : ભાજપ પ્રમુખ અમિત શાહ પ્રચાર ન કરે તો પણ જીત થશે તેવો પંડિતોનો દાવો

અમદાવાદ, તા. ૨૭ : ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાનને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ ભાજપ પ્રમુખ અમિત શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા બાદ ગાંધીનગર સીટને લઇને જોરદાર ચર્ચા છેડાઈ ગઈ છે. આ સીટ ભાજપની પરંપરાગત સીટ રહી છે અને અહીં ભાજપના ઉમેદવારો જીત મેળવતા રહ્યા છે. આ વખતે પણ ભાજપની જીતવાની તકો ઉજ્જવળ દેખાઈ રહી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક લોકો પણ માને છે કે, આ બેઠક ઉપર અમિત શાહ સરળતાથી જીત મેળવી લેશે. આંકડા પર નજર કરવામાં આવે તો પણ આ બેઠક ભાજપની જીત તરફ ઇશારો કરે છે. ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ૨૦૧૪માં ભાજપે ૪૮૨૫૩૯ મતે જીત મેળવી હતી. નવા સીમાંકનના આધારે બનેલી આ બેઠકમાં પણ ૧૯૯૧થી ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા અને અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. ભાજપના રાષ્ટ્રીય નેતા શરૂઆતથી જ આ બેઠક ઉપર પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી હતા. અડવાણીને ૭૭૩૫૩૯ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના કિરીટ પટેલને ૨૯૦૪૧૮ મત મળ્યા હતા. બેઠક ઉપર કુલ ૧૮ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા થઇ હતી તે વખતે નોટામાં ૧૨૭૭૭ મત પડ્યા હતા. ગાંધીનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકો આવે છે જે પૈકી પાંચ બેઠકો ઉપર ભાજપે જીત મેળવી હતી. ભાજપને મળેલી બેઠકોને મતોની સરસાઈનો સરવાળો ૨૮૩૦૬૩નો થાય છે જ્યારે કોંગ્રેસને મળેલી બે બેઠકોનો મતોની સરસાઈનો સરવાળો ૧૩૭૦૧ થાય છે. ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આંકડા પર ધ્યાન આપવામાં આવે તો કોંગ્રેસ કરતા ૨૬૯૩૬૨ મત ભાજપને વધારે મળ્યા હતા જે દર્શાવે છે કે, આ પરંપરાગત સીટ ઉપર ભાજપની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. કેટલાક રાજકીય પંડિતો તો અહીં સુધી કહે છે કે, અમિત શાહ પ્રચાર કરવા ન આવે તો પણ આ સીટ પર જીતી જશે. લાલકૃષ્ણ અડવાણી વાજપેયીની ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે વર્ષો સુધી આ ક્ષેત્રમાં કામગીરી કરી ચુક્યા છે. અમિત શાહ નારણપુરા વિધાનસભામાં વર્ષો સુધી સક્રિય રહ્યા છે જે તેમના મોટા પ્રમાણમાં જીતની સાબિતી આપે છે.

ગાંધીનગર બેઠકનું ચિત્ર

ગાંધીનગર, તા. ૨૭ : ગાંધીનગર બેઠક પર છેલ્લી લોકસભા ચૂંટણીમાં અડવાણીએ જીત મેળવી હતી. ૨૦૧૪ ચૂંટણીમાં ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

*   ૨૦૧૪ ચૂંટણીમાં કુલ ૧૮ ઉમેદવાર હતા

*   લાલકૃષ્ણ અડવાણીને ૭૭૩૫૩૯ મત મળ્યા હતા

*   કોંગ્રેસના કિરીટ પટેલને ૨૯૦૪૧૮ મત મળ્યા હતા

*   નોટામાં ૧૨૭૭૭ મત પડ્યા હતા

*   ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા સીટ છે

*   છેલ્લી ચૂંટણીમાં ભાજપને પાંચ અને કોંગ્રેસને બે સીટો મળી

(8:28 pm IST)