Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

લોકોનું જીવન અનમોલ છે, રાજકીય પ્રવૃત્તિઓ બાજુએ મુકી રાજ્‍ય સરકારે કોરોના મહામારીમાં ભયંકર અવ્‍યવસ્‍થા દૂર કરવી જોઇએઃ શક્‍તિસિંહ ગોહિલ

અમદાવાદઃ અમદાવાદ અને ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહેલો છે. અમદાવાદમાં જરૂરીયાતમંદ દર્દીઓને ICUના બેડ અને વેન્ટીલેટર નથી મળતા. નામાંકિત ખાનગી હોસ્પિટલો તથા સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે ICU બેડ કે વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકારને તુરંત વ્યવસ્થા માટે વિનંતી કરી છે. સરકારે કોરોના માટે ૧૨૦૦ બેડની હોસ્પિટલની વ્યવસ્થા કરી હોવાની વાતો કરી છે. પરંતુ આ હોસ્પિટલમાં ICU બેડ માત્ર ૩૦૦ જ છે અને વ્યવસ્થા તંત્રમાં ભયંકર અવ્યવસ્થા છે. લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. અને જવાબ સુધ્ધા આપવા કોઈ હોતું નથી.

લોકોનું જીવન અણમોલ છે માટે રાજકીય પ્રવૃત્તિ બાજુએ મુકીને નાગરિકોના જીવન બચાવવા સરકાર સક્રિય બને તે જરૂરી છે. દિલ્હીની નામદાર હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપતા કહ્યું હતુ કે, જયારે વેક્સીન ઉપલબ્ધ છે ત્યારે તેની પ્રાથમિકતા દેશના નાગરિકોને મળવી જોઈએ. સરકાર દેશના નાગરિકોને સંપૂર્ણ વેક્સીન પૂરું પાડવાના બદલે બહારના દેશોમાં વેક્સીન વેચી રહી છે અને દાન આપી રહી છે તે બરાબર નથી. જે કામ આવતી કાલે (હવે પછી) કરીશું તેમ સરકાર કહે છે તે કામ ગઈ કાલે (પહેલા) પૂરું થઈ જવું જોઈતુ હતુ. દિલ્હી હાઈકોર્ટની આટલી મોટી ચેતવણીની અવગણના ના કારણે જ આજે આપણો દેશ દુનિયામાં કોરોનાની બાબતમાં બીજા નંબર ઉપર પહોંચી ગયો છે. જો શરૂઆતથી જ વેક્સીનેશન ઝડપથી કરવામાં આવ્યું હોત અને જેમ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું તેમ દેશના નાગરિકોને પ્રાથમિકતા આપી હોત તો આજે દેશમાં નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ પણ મળી ગયો હોત અને કોરોનાની ભયંકર પરીસ્થિતિ માંથી બચાવી શકાયા હોત.

શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે, કોરોનાની મહામારીને સરકાર ગંભીરતાથી લઈને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે અને ભારત સરકાર પાસેથી જરૂરી મદદ મેળવે પરંતુ નાગરિકોને ભગવાન ભરોસે ન છોડવામાં આવે

(5:17 pm IST)