Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

સ્કુલ વાનનો દરવાજો ખુલી જતા ૩ બાળકો નીચે પડ્યા

એક વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થતા સારવારમાં : શહેરના નિકોલની પંચામૃત સ્કૂલની ચાલુ વાનથી બાળકો નીચે પડતા ચકચાર : તંત્ર દોડતુ થયું : બેદરકારી સપાટીએ

અમદાવાદ,તા.૧૭ :      શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી આજે ત્રણ બાળકો પડી જવાની ગંભીર દુર્ઘટના સામે આવી હતી. આરટીઓ નિયમો અને કાયદાકીય જોગવાઇઓનો સરેઆમ ભંગ કરીને સ્કૂલવાનમાં ઘેટાબકરાંની કુલ ૨૨ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. આ સમગ્ર દુર્ઘટનામાં સ્કૂલવાનના ડ્રાઇવરની બહુ મોટી અને ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં તેણે પૂરપાટઝડપે સ્કૂલવાન હતી અને વળાંક લેતી વખતે વાનનો દરવાજો ખુલ્લો રહી ગયો હોવાથી ચાલુ વાનમાંથી એક વિદ્યાર્થીની સહિત ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જેમાં એક વિદ્યાર્થીનીને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો સુરજ શર્મા નામનો એક બાળક ગુમ હોવાની વાત સામે આવી છે. આ સમગ્ર દુર્ઘટનાને લઇ આરટીઓ સહિતનું તંત્ર દોડતુ થયુ હતુ તો બીજીબાજુ, વાલીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી અને કસૂરવાર ડ્રાઇવર અને સ્કૂલ સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી આકરા પગલાં લેવાની ઉગ્ર માંગણી કરી હતી. બીજીબાજુ, આરટીઓ સત્તાધીશોએ પણ આ દુર્ઘટનામાં જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કૂલના બાળકોને લઇને જતી એક વાન બગડતાં તેના બાળકોની સ્કૂલની બીજી વાનમાં બેસાડવામાં આવ્યા હતા પરંતુ આઘાતજનક વાત એ હતી કે, આ સ્કૂલવાનમાં આરટીઓ નિયમો અને કાયદાકીય જોગવાઇઓની ઐસી તૈસી કરીને ૨૨ જેટલા બાળકોને ઘેટાંબકરાંની જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા. જેના કારણે વાનનો દરવાજો પણ બંધ થયો ન હતો. આટલી ગંભીર બેદરકારી બાદ પણ સ્કૂલવાન ડ્રાઇવર અટકયો ન હતો. પૂરપાટઝડપે સ્કૂલવાન હંકારતો રહ્યો હતો અને ફુલસ્પીડમાં વળાંકનો ટર્ન માર્યો ત્યારે એક બાળકી સહિત ત્રણ બાળકો પડી ગયા હતા તેમછતાં સ્કૂલવાન ડ્રાઇવરે વાન ચલાવવાનું રાખ્યું હતું. છેલ્લે વાન અટકયા બાદ તેને ખબર પડી અને અન્ય વિદ્યાર્થીઓએ ધ્યાન દોર્યુ એ પછી તો ભાગદોડ મચી ગઇ હતી. રસ્તામાં બાળકો પડી જતાં સ્થાનિક લોકોએ પણ ચાલુ વાનમાંથી નીચે પટકાયેલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં વાલીઓ દોડતા થયા હતા અને સ્કૂલવાન અને સ્કૂલ સંચાલકો સામે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો.   આ સમગ્ર દુર્ઘટના દરમ્યાન ધોરણ-૩માં અભ્યાસ કરતો સૂરજ શર્મા નામનું એક બાળક પણ ગુમ થયું હતું. સ્કૂલવાન ડ્રાઇવરની આટલી મોટી અને ગંભીર બેદરકારીને લઇ સર્જાયેલી દુર્ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને આરટીઓ સહિતનું તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. વાલીઓએ આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર સ્કૂલવાન ડ્રાઇવર અને સ્કૂલ સંચાલકો સહિતના જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી તો, બીજીબાજુ, આરટીઓ સત્તાવાળાઓએ પણ આ મામલામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે નિયમોનુસાર કરવાની ખાતરી ઉચ્ચારી હતી. જો કે, આજની દુર્ઘટનાને લઇ સ્કૂલવાનમાં કે સ્કૂલરીક્ષામાં શાળાએ જતાં બાળકોની સુરક્ષા અને સલામતીને લઇ ગંભીર સવાલો ફરી એકવાર ઉઠયા હતા. બનાવ બને ત્યારે તમામ ખામીઓના મુદ્દા ઉઠે છે. 

(8:11 pm IST)