Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય તે સરકારની પ્રાથમિકતા - વર્ગવિગ્રહ ફેલાવનારાઓને કોઇપણ ભોગે છોડાશે નહી : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

બહુચરાજી તાલુકાના ભોગ બનનાર અનુસૂચિત જાતિના યુવાનના પરિવારને સંપૂર્ણ પોલીસ રક્ષણ પૂરૂ પડાયું : રાજ્યના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ૧૪ ટીમો દ્વારા ગુનેગારોને પકડવા તંત્રની કવાયત : રાજ્યની શાંતિ સલામતિ માટે સોશ્યલ મીડીયાના દૂરપયોગ કરનાર સામે પણ કડક પગલા લેવાશે.

ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને સમાજ-સમાજ વચ્ચે સમરસતા રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરનાર તત્વો સામે રાજ્ય સરકાર કડક હાથે પગલાં લેશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ ઘટના સંદર્ભે દુઃખની લાગણી વ્યક્ત કરી તપાસ સત્વરે હાથ ધરવા સૂચનાઓ આપી છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં અનુસૂચિત જાતિના યુવાન ઉપર થયેલ હુમલાને રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલતાથી લઇને ભોગ બનનાર પરિવારજનોને સંપૂર્ણ પોલીસ રક્ષણ, રાજ્ય સરકાર દ્વારા પૂરૂ પડાયું છે. 

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તા. ૧૪મી જુનના રોજ અનુસૂચિત જાતિના યુવાન ઉપર દરબાર જ્ઞાતિના બે યુવાનો દ્વારા ગડદાપાટુ તેમજ ધોકાથી માર મારવાનું, અણછાજતા શબ્દોવાળો વિડીયો સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ  રાજ્ય સરકારે મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષકને ત્વરીત સૂચનાઓ આપી ભોગ બનનાર પરિવારજનોને સમજાવીને ફરીયાદ આપવા સામેથી તૈયાર કરાયા હતા, અને પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોને વિશ્વાસમાં લઇ બનાવ સંદર્ભે એટ્રોસીટી એક્ટ, અપહરણ તેમજ આઇ.ટી. એક્ટ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

તેમણે ઉમેર્યું હતું કે, ઘટનાની ન્યાયિક તપાસ થાય અને સંડોવાયેલા ચારે આરોપીઓની ઝડપથી ધરપકડ થાય તે માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, રેન્જ આઇ.જી, અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ૧૪ જેટલી ટીમો બનાવીને તપાસનો દોર યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. 

સમાજમાં આવા કૃત્યો કરનાર સામે રાજ્ય સરકાર કડક હાથે પગલાં લેશે. અને કાયદેસરની કાર્યવાહી કરાશે, તેમ જણાવી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે ઉમેર્યું હતું કે સમાજમાં કેટલાક તત્વો દ્વારા ફેસબુક, વોટ્સઅપ જેવા માધ્યમો થકી નાગરિકોને ધર્મના આસ્થા કેન્દ્રો, સમાજ-સમાજ વચ્ચે ગેર સમજ ફેલાવી વિઘટન કરનાર તત્વો સામે પણ રાજ્ય સરકાર કડક હાથે કામ લેશે. આ માટે પોલીસ તંત્રને સોશ્યલ મીડિયાનો દૂરપયોગ ન થાય તે જોવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

(8:00 pm IST)