Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દિવાળી સમયે પિતા-પુત્રનું બે કરોડથી વધુનું ઉઠમણું

પિતા અને પુત્ર સોનું લઈને ફરાર થઈ ગયા : પિતા-પુત્ર ૪૦ વર્ષથી જ્વેલર્સની દુકાન ધરાવતા હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને તેમના ઉપર વિશ્વાસ હતો

સુરત,તા.૧૧ : દિવાળીના તહેવાર સમયે જ સુરતમાં છેલ્લા ૪૦ વર્ષથી જ્વેલર્સની દુકાન ધરાવતા પિતા-પુત્રએ બે કરોડથી વધુનું ઉઠમણું કર્યું હોવાથી ગ્રાહકો અને અન્ય જ્વેલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. મળતી માહિતી પ્રમાણે પિતા-પુત્ર સોનાના વેપારીઓ અને ગ્રાહકો પાસેથી આશરે ૨.૪૨ કરોડના સોનાના દાગીના લઈને ૧૫ દિવસ પહેલા ક્યાંક ફરાર થઈ ગયા છે. બંનેએ વેસુ ખાતેનો પોતાનો ફ્લેટ, કાર, બાઇક વગેરે પણ વેચી નાખ્યા છે. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે. બંને કતારગામ દરવાજા ખાતે કુબેરનગરમાં છેલ્લા ૪૦ વર્ષથી મા શક્તિ જવેલર્સના નામે દુકાન ધરાવતા હતા. દુકાન ખૂબ જૂની હોવાથી વેપારીઓ અને ગ્રાહકો તેમના પર વિશ્વાસ મૂકતા હતા. પોલીસ ફરિયાદ પ્રમાણે રાજેશભાઈ મહેન્દ્રકુમાર ધોકા નામના સોનાના વેપારી કતારગામ દરવાજા કુબેરનગર વિભાગ ૧ પ્લોટ નં.૮૩ ખાતે મા શક્તિ જવેલર્સના નામે દુકાન ધરાવતા પિતા-પુત્ર દિલીપભાઈ જ્યંતિલાલ સોની સાથે વેપાર કરતા હતા.

                 બંને તેમની પાસેથી સોનાના દાગીના લઈ જતા હતા, અને પેમેન્ટ કરી દેતા હતા. આ દરમિયાન બંનેએ દિવાળીના સમયે વધારે માલ હોય તો આપવાનું રાજેશભાઈને કહ્યું હતું. જે બાદમાં રાજેશભાઈ ૧૩૪૭ ગ્રામના વજનના દાગીના લઈને મા શક્તિ જ્વેલર્સ ખાતે ગયા હતા. અહીં પિતા-પુત્રએ તમામ ઘરેણા રાખી લીધા હતા. જે બાદમાં પિતા-પુત્રએ રાજેશભાઈ પાસેથી વધુ દાગીના મંગાવ્યા હતા અને આ અંગેની ચૂકવણી સાત દિવસમાં કરી આપવાનું કહ્યું હતું. જોકે, પેમેન્ટ પહેલા જ પુતા-પુત્રએ તેમની દુકાનને તાળું મારી દીધું હતું. જે બાદમાં પુતા-પુત્રનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ ઉપરાંત રાજેશભાઈને એવું પણ માલુમ પડ્યું હતું કે પિતા-પુત્ર પોતાની તમામ સંપત્તિ અને કાર, બાઇક સહિતની વસ્તુઓ વેચીને ભાગી ગયા છે. આ મામલે રાજેશભાઈએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ આપી છે. વેપારી ક્યાંક ભાગી ગયાનું જાણ્યા બાદ સોનાના અન્ય વેપારીઓ અને ગ્રાહકો પણ દોડતા થયા હતા. એવી આશંકા છે કે પિતા-પુત્ર તમામ વસ્તુઓ વેચીને વિદેશ ભાગી ગયા હોઈ શકે છે. પિતા-પુત્રએ આયોજન પૂર્વક તમામ વેપારીઓ પાસેથી ઘરેણા મંગાવીને ચૂનો લગાડ્યો છે. આ ઉપરાંત અનેક ગ્રાહકો પણ તેમનો ભોગ બન્યા છે.

(7:28 pm IST)