Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

દિપાવલીના પુનિત પર્વે SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીનો શુભ સંદેશ

અમદાવાદ તા. ૧૧ વિક્રમ સંવત્ ૨૦૭૭ નું નૂતન વર્ષનું પ્રભાત આપ સૌના માટે સુખ, શાંતિ પૂર્ણ અને નિરામય બની રહે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના.

 દિપાવલીના દિવસો છે, આખી દુનિયામાં કોવિડ-૧૯ ની ભયંકર મહામારીનો અંધકાર છવાયેલો છે. એનાથી હતાશ કે નિરાશ થવાની જરુર નથી.

પરમાત્માની કૃપાથી આ ઘોર અંધારી રાત અવશ્ય પસાર થશે. સુખભર્યું નવલું પ્રભાત પ્રગટશે. એવા વિશ્વાસ રુપી આશાના દિવડાને પ્રજ્વલિત રાખી આ અંધકારની સામે લડત લેતા રહિએ.

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આવા રોગાદિક આપત્કાળ પ્રસંગે પોતાની અને પારકાની રક્ષા કરવાનું કહેલ છે. એ આજ્ઞાને અનુસરીને આપણે સાવચેતી સાથે પોતાના તથા પારકાના જીવનદીપને સુરક્ષિત રાખીએ.

   સેવાઓના વિશેષ દીવડાંઓને પ્રગટાવી મહામારીગ્રસ્ત લોકોના જીવનમાં ઉજાસ પાથરીએ.

ભગવાન શ્રી સ્વામિનારાયણ આપ સર્વને નવા વર્ષના શુભારંભે અંતરની અધ્યાત્મિક જ્યોતમાં શુભ કાર્યના નવાં સંકલ્પો રુપી ઘી સિંચવાનું બળ આપે.

 ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં બિરાજમાન ગુરુદેવ શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય જોગી સ્વામી વગેરે સંતોના આશીર્વાદ સહુ પરિવાર જનો ઉપર અખંડ વરસતા રહે એવી નૂતન વરસે શુભ કામના.

 અત્રેથી પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતો અને પાર્ષદોના ઘણા હેતથી જય શ્રી સ્વામિનારાણ.

                                    શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અધ્યક્ષ - SGVP ગુરુકુલ, અમદાવાદ

(12:12 pm IST)