Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જેટલીજીને ગુજરાત સાથે ગાઢ આત્મીય સંબંધો હતા

નાણાકીય ક્ષેત્રના સુધારામાં તેમનો સિંહફાળો હતો : આજે અમદાવાદમાં ગુજરાત ભાવપૂર્ણ હૃદયાંજલી આપશે : રાજુ ધ્રુવ

રાજકોટ, તા. ૫ : દેશના પૂર્વ નાણાંપ્રધાન અને ભાજપનાં વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અરૂણ જેટલીનો ગુજરાત સાથે અનેરો નાતો રહ્યો છે. જેટલીજીનાં આ જ ગુજરાત પ્રેમને લઈ તેમના પરિવાર અને મિત્રો દ્વારા આજે અમદાવાદ ખાતે હૃદયાંજલી આપવામાં આવશે એ અવસરે ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, તા, ૬ સપ્ટેમ્બરનાં રોજ સાંસદ તરીકે સ્વર્ગસ્થ અરૂણ જેટલીજીએ દત્ત્।ક લીધેલા ગામ કરનાળીના સોમનાથ દ્યાટ પર નર્મદામાં દૈહિક સ્મૃતિનાં અંતિમ અંશનું વિસર્જન તેમજ સતકર્મ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ ગત ઓગસ્ટ મહીનામાં સુષ્મા સ્વરાજજી પછી બીજા એક દિગ્ગજ નેતા અરૂણ જેટલીજીને ગુમાવ્યા છે. અરૂણ જેટલીજીનો ગુજરાત પ્રત્યેનો નાતો ખૂબ જૂનો રહ્યો છે. અરૂણ જેટલીજી જયારે પણ ગુજરાત આવતા ત્યારે પત્રકાર પરિષદમાં તેમને મળવાનું થતું. દિલ્હી ખાતે પણ લૌદી ગાર્ડન ખાતે તેઓ મળી જતા ત્યારે ખબરઅંતર પૂછતાં. તેઓ મળતાવડા અને માયાળું સ્વભાવનાં હતા. જયારે પણ મળતા ત્યારે રાજકોટ અને તેમના લોકો વિશે પૂછતાં રહેતા. તેમને ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે ખૂબ જ લાગણી હતી.

શ્રી અરૂણજીનાં જવાથી ગુજરાતે એક પ્રભાવી મિત્ર ગુમાવ્યાં છે, ભારતે એક વિદ્વાન નેતૃત્વ ગુમાવ્યું છે અને ભાજપે એક પોલીસી મેકર અને શ્રેષ્ઠ- પ્રખર વકતા ગુમાવ્યાં છે. શ્રી અરૂણજીની બહુમુખી પ્રતિભાની ખોટ કયારેય પૂરી ન થઈ શકે. અરૂણ જેટલી ગુજરાતમાંથી ચાર ટર્મ સુધી રાજયસભાનાં સાંસદ રહ્યાં હતા. ગુજરાતનાં હીત અને વિકાસનાં મોડેલને તેમણે દેશ-વિદેશમાં બખૂબી રીતે રજૂ કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રજૂ કરેલ આદર્શ ગ્રામની કલ્પનાને સાકાર કરવા અરૂણ જેટલીજી દ્વારા ગુજરાતના વડોદરા નજીક આવેલ ચાંદોદ-કરનાળી ગામને દત્ત્।ક લીધું હતું. આ ગામની આસપાસના બગલીપુરા, પીપળીયા, અને વળીયા ગામમાં પણ વિકાસનાં કામો તેમના દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતા.

રાજુભાઈ ધ્રુવે અરૂણ જેટલીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આર્થિક નીતિઓ સફળ બનાવવામાં નાણાંપ્રધાન અરૂણ જેટલીની મુખ્ય ભૂમિકા હતી. નાણાકીય ક્ષેત્રનાં સુધારામાં અરૂણ જેટલીનો ફાળો હંમેશા યાદ રહેશે. આયુષ્માન ભારત યોજનાના અમલીકરણમાં પણ જેટલીજીની બહું મોટી ભૂમિકા હતી. કાયદા ક્ષેત્રનાં જ્ઞાન અને નિષ્ણાંત વિષયક વાત કરવામાં આવશે ત્યારે પણ અરૂણ જેટલીજીને અચૂક યાદ કરવામાં આવશે. અરૂણ જેટલીજી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનાં ખાસ અંગત મિત્ર હતા. જેટલીજીએ અને મોદીજીએ સાથે મળી ગુજરાત અને ભારતનાં વિકાસ માટે અનેક યોજનાઓ ઘડી હતી અને લોકકલ્યાણની ઘણી બધી યોજનાઓનો અમલ શકય બનાવ્યો હતો. કેન્દ્રમાં તેઓ સરકારમાં મોદીજીના અને સંગઠન માં અમિતભાઈ શાહનાં વિશ્વસનીય સાથી બની રહ્યાં. અરૂણ જેટલીજીની વિદાયથી માત્ર ભાજપ જ નહીં ભારત અને ગુજરાતને કયારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. એક પરમ શુભચિંતક હિતેચ્છુનાં ગુમાવ્યાનું દુઃખ વ્યકત કરી શકાય તેમ નથી એવું રાજુભાઈ ધ્રુવે ભાવપૂર્ણ શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું હતું.

(11:57 am IST)