Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હોટલ-રેસ્ટોરન્ટ રાત્રે નવ સુધીજ ખુલ્લા રાખવાના આદેશથી નારાજગી

હોટલ-રેસ્ટોરન્ટ એસોસિયેશને રાત્રે ૧૧ વાગ્યા સુધી હોટલ રેરટોરન્ટ ખુલ્લી રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી : લોકો પરિવાર સાથે મોડી સાંજે કે રાત્રે હોટલમાં જમવા જવાનું પસંદ કરતા હોવાથી રજૂઆત કરાઇ હતી

અમદાવાદ,તા.૧ : અનલોક-૨માં દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી અને હોટેલ તથા રેસ્ટોરન્ટ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની સરકારે મંજૂરી આપી છે. જોકે, હોટલ અને રેસ્ટોરન્ટનો ધંધો મોટાભાગે મોડી સાંજે અને રાત્રીનો હોવાથી હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ હોટલ- રેસ્ટોરન્ટને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની રજૂઆત કરાઈ હતી,   સરકારે આ માંગણી પર ધ્યાન આપ્યું  નથી. તેથી હોટેલ-રેસ્ટોરન્ટ હવે નવ વાગે જ બંધ કરી દેવી પડશે. સરકારના આ આદેશથી હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં થોડી નારાજગી ઊભી થઈ છે. તેમની દલીલ છે કે, જો આવું લાંબુચાલશે તો ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.

અમદાવાદ સહિત રાજયભરની હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોના સંગઠન દ્વારા થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરીહતી કે, હોટેલ અને રેસ્ટોરન્ટનો ધંધો મોટાભાગે સાંજનો જ છે. લોકો મોડી સાંજે કામ ધંધો આઢોપી પરિવારસાથે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે, માટે હોટલ અને રેસ્ટોરન્ટને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તો તેમનો ધંધો ચાલે.

હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા એવી પણ રજુઆત થઈ હતી કે, કોરોનાની મહામારી વચ્ચે સરકારે આપેલા લોકડાઉનમાં લગભગ ૭૦ દિવસ સુધી હોટલ રેસ્ટોરન્ટ બંધ રહી હતી. જેના કારણે આ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. સાથે સાથે અનલોક-૧માં નવ વાગ્યાથી કર્ફયુ લાગી જતો હોવાથી હોટેલ અને રેસ્ટોરન્ટ વહેલી બંધ કરી દેવી પડતી હતી, જેથી કોઈ આવક થતી નહોતી. એસોસિએશનની રજુઆત બાદ પણ સરકાર દ્વારા હોટલો અને રાત્રે ૯ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી અપાતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો નારાજ થયા છે. સાથોસાથ આવી પરિસ્થિતિમાં ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ જશે તેવી ભીતિ પણ વ્યકત કરી હતી.

(11:21 am IST)