Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

વાત કાશ્મીરની નથી, માણસાઇની છેઃ ઇમરાન ખાન સાથે સુર પુરાવતા ક્રિકેટર શાહિદ આફ્રિદી

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકી રહ્યાં છે. હવે તેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે અને તે છે ક્રિકેટર શાહિદ આફ્રિદી. શુક્રવારે ઈમરાન ખાને પીઓકેના મુઝફ્ફરાબાદમાં રેલીને સંબોધિત કરીને ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં. ઈમરાન ખાનના સૂરમાં સૂર મિલાવતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે વાત કાશ્મીરની નથી માણસાઈની છે.

જ્યારેથી ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે ત્યારથી પાકિસ્તાન અકળાયું છે. પીએમ મોદીના આ સાહસિક પગલાથી પાકિસ્તાનની રાતોની ઊંઘ ઉડી ગઈ છે. ઈમરાન ખાન દુનિયાભરમાં ઢંઢેરો પીટીને હવે થાકી ગયા હોય તેવું લાગે છે. તેમણે હવે પોતાના જ દેશમાં આવા ઝેરીલા ભાષણો આપવાનું શરૂ કરી દીધુ છે. ઈમરાન ખાને શુક્રવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં રેલી યોજી. આ રેલીમાં કાશ્મીરમાં માણસાઈના નામે રોદણા રડ્યાં.

શું કહ્યું આફ્રિદીએ?

શાહિદ આફ્રિદીએ પણ ઈમરાનના શબ્દોનો જ ઉપયોગ કર્યો અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનના વખાણમાં કશું બાકી રાખ્યું નહીં. આફ્રીદીએ લોકોને એકજૂથ થવાની અપીલ કરી. તેણે સવાલ ઉઠાવ્યો કે મુસલમાનોની સાથે જ આમ કેમ થાય છે.

વાત કાશ્મીરની નથી?

આફ્રીદીએ શબ્દો સાથે રમત રમતા કહ્યું કે વાત કાશ્મીરની નથી, માણસાઈની છે. આફ્રિદીએ તો એટલે સુધી કહી દીધુ કે દુનિયાના કોઈ પણ ખુણામાં અત્યાચાર થશે તો અમે પાકિસ્તાની, અમે મુસલમાન અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવીશું. ત્યારબાદ આફ્રિદીએ એ પણ સવાલ કર્યો કે શું અત્યાચાર ફક્ત મુસલમાનો વિરુદ્ધ જ કેમ થઈ રહ્યાં છે? આફ્રિદીએ લોકોને એકજૂથ થવાની અપીલ કરતા ડરાવતા કહ્યું કે જો આપણે એક ન થયા તો લોકો આવી જ રીતે અત્યાચાર કરતા રહેશે.

અગાઉ પણ કાશ્મીર મામલે બયાનબાજી કરી ચૂક્યો છે આફ્રિદી

ઉલ્લેખનીય છે કે શાહિદ આફ્રિદી જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હતો ત્યારે કાશ્મીર પર બોલી ચૂક્યો છે. વર્ષ 2011માં વિશ્વકપ સેમી ફાઈનલ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોહાલીમાં મેચ રમાઈ હતી. ત્યારે મેચ હાર્યા બાદ પણ આફ્રિદીએ કાશ્મીર પર રાગ આલાપ્યો હતો. તેના આ નિવેદનની ખુબ જ ટીકા થઈ હતી. હાલમાં જ આ રેલીમાં ભાગ લેવા માટે શાહિદ આફ્રિદીએ ખાસ ઈમરાન  ખાન સાથે મુલાકાત કરી હતી.

(5:21 pm IST)