Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કાલાવડનાં ખંઢેરામાં યુવકની હત્યામાં ૧૧ વર્ષથી નાસતો-ફરતો શખ્સ ઝડપાયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૮: આજથી અગીયાર વર્ષ પહેલા જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની વાડી વિસ્તારમાં ઘાતક હથીયારો વડે ચાર ઇસમો દ્વારા પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા નિપજાવી મૃતકની લાશને કંતાનના પોટલામાં પથ્થરો વડે બાંધી કુવામાં ફેંકી ચારેય ઇસમો ફરાર થઇ ગયેલ હોય જે પૈકીના છેલ્લા અગીયાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને અમરેલલી જીલ્લાના વડીયા તાલુકાના દુર્ગમ વાડી વિસ્તારમાંથી જામનગર પેરોલ-ફર્લો સ્કવોડે પકડી પાડયો છે.

જીલ્લા પોલીસ અધિક્ષકબ દીપન ભદ્રન તેમજ એલસીબી પો.ઇન્સ. એમ.જે.જલુની સુચના અને માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. શ્રી એ. એસ. ગરચર તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના પેરોલ ફર્લો ફરારી-નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. હેડ કોન્સ. કાસમભાઇ બ્લોચ તથા ગજેન્દ્રસિંહ જાડેજા તથા મેહુલભાઇ ગઢવી હકિકત મળેલ કે નાસતા-ફરતા આરોપી ટીનકા ઉર્ફે ટીનીયા સ/ઓ માધીયા મસાણીયા (ભીલાળા) રહે અમ્બાર ગામ પટેલ ફળીયુ તા. કઠીવાડા જી. અલીરાજપુર મધ્ય પ્રદેશ વાળો હાલ અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના દુર્ગમ વાડી વિસ્તારમાં હાજર હોય જેથી ટેકનીકલ એનાલીસીસના આધારે ઉપરોકત ટીમ સાથે સદરહુ આરોપીને પકડી પાડી પો. સબ. ઇન્સ. એ. એસ. ગરચર એ ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી કરી જામજોધપુર પો. સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરીમાં પેરોલ-ફર્લો સ્કવોડના પો. સ. ઇ. શ્રી એ. એસ. ગરચર તથા એ. એસ. આઇ. હંસરાજભાઇ પટેલ, ચંદ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, મેહુલભાઇ ગઢવી તથા રણજીતસિંહ પરમાર તથા બળવંતસિંહ પરમાર (એલ. સી. બી.)નાઓએ કરેલ છે

(3:49 pm IST)