Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

માલિયાસણ પાસે એમ્બ્યુલન્સને ટ્રકે ઠોકરે લેતાં વાંકાનેરના દર્દી સહિત ૩ને ઘવાયા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ગુલામહુશેનભાઇને રજા લેવડાવી તેના પત્નિ ઝરીનાબેન ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં અકસ્માત નડ્યો

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ પર માલિયાસણ પાસે એમ્બ્યુલન્સને ટ્રકે ઠોકરે લેતાં એમ્બ્યુલન્સમાં બેઠેલા વાંકાનેરના દર્દી મુસ્લિમ વૃધ્ધ, તેમના પત્નિ અને એમ્બ્યુલન્સ ચાલકની સાથે બેઠેલા એક યુવાનને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિપાહી શેરીમાં રહેતાં ગુલામહુશેનભાઇ ઇસ્માઇલભાઇ ખોખર (સિપાહી) (ઉ.વ.૮૦)ને અન્નનળીની તકલીફ હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિથી ગત રાતે રજા લઇ ઘરે જવું હોઇ એમ્બ્યુલન્સ બાંધી હતી. આ એમ્બ્યુલન્સ માલિયાસણ પાસે પહોંચી ત્યારે એક ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં વૃધ્ધ દંપતિ તથા એમ્બ્યુલન્સ ચાલકની બાજુમાં બેઠેલા મોરબી રોડ પર રહેતાં હિરેન દેવરાજભાઇ સોલંકી (ઉ.૨૦)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ચાલકનો બચાવ થયો હતો.

(11:40 am IST)