Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ભાવનગરના ભંડારીયા ડુંગર ઉપર સિંહ આવી ચડયોઃ બળદનું મારણ

ભાવનગર તા.૨૧: ભાવનગર થી ર૦ કિ.મી. દૂર ભંડારીયા ગામનાં ડુંગરમાં વનરાજાના આંટાફેરા અવાર-નવાર જોવા મળે છે. દરમ્યાન આજે વધુ એક વખત ગિરનાં સાવજે દેખા દઇ બળદનું મારણ કરી પેટની આગ ઠારી હતી. સિહોર સુધી પથરાયેલી ગિરિમાળામાં છેલ્લા કેટલાય દિવસથી સાવજે રહેઠાણ બનાવી શિકારની શોધમાં આંટાફેરા લગાડતાં લોકોમાં ભય મિશ્રિત કુતુહલ ફેલાયું છે.

દરમ્યાન ભંડારીયાનાં ડુંગરમાં સિંહે બળદનું મારણ કરતાં ભાવનગર વન વિભાગનાં અધિકારીઓ ભંડારીયા દોડી ગયા હતા અને સિંહનું લોકેશન મેળવી લોકો હેરાન ન થાય તેવી તકેદારી લીધી હતી.મળતી વિગતો મુજબ સાવજે હવે નવા રહેઠાંણની શોધમાં સતત રહે છે. મેટીંગ પીરીયડ દરમ્યાન સિંહો નવા વિસ્તારમાં આંટાફેરા લગાવે છે. ભાવનગરને લાગેવળગે છે ત્યાં સુધી ૧૯૬૭માં ભાવનગરમાં સાવજો હતા. આમ સાવજો હવે તેના મુળ વિસ્તારમાં પાછા ફરી રહયાં છે. ગોહિલવાડ પંથકનાં અનેક ગામોમાં સિંહનું વિચરણ છે.

(11:32 am IST)