Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

અકસ્માતમાં ઘવાયેલા ઉનાના ઉમદના લાલજી સોલંકીનું રાજકોટમાં મોત

પાંચ દિવસની સારવાર કારગત ન નિવડીઃ પરિવારમાં શોક : પત્નિનો આક્ષેપઃ બનાવ અકસ્માતનો નહિ મારામારીનો લાગે છેઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૯: ઉનાના ઉમદ ગામે રહેતો લાલજી રામજીભાઇ સોલંકી (ઉ.૩૫) નામનો દેવીપૂજક યુવાન ૧૪/૧૦ સાંજે સાતેક વાગ્યે ઉનાના દેલવાડા રોડ કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ઉના સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ રાત્રીના તેનું મોત નિપજ્યું હતું.

લાલજી ૧૪મીએ ઘરે હતો ત્યારે મિત્રો તેને પાન-માવો ખાવા બોલાવી ગયા હતાં. એ પછી દેલવાડા રોડ પરથી તે ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયાનું તેના મિત્રોએ કહ્યું હતું. ઉના સારવાર અપાવી રાજકોટ સિવિલમાં દાખલ કરાયેલ. પરંતુ ગત મોડી રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ ઉના પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર એક બહેન અને બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર છે. છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. પત્નિએ બનાવ અકસ્માતનો નહિ પણ મારામારીનો હોવાનું રટણ કરતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.

(11:57 am IST)