Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકામાં ભોગાવો નદી ઉપરનાં ૩ ચેકડેમની મરામત માટે ૧.૫૪ કરોડ ફાળવાયાઃ વિજયભાઇ રૂપાણી

સુજલામ-સુફલામ યોજના અન્વયે ભોગાવો નદી પર નિર્માણ થયેલ ત્રણ ચેકડેમને ભારે વરસાદ-પૂરથી થયેલ નૂકશાનના રીપેરીંગ કામો હાથ ધરાશે

વઢવાણ,તા.૧૪: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સુજલામ સુફલામ યોજના અન્વયે ભોગાવો નદી પરના ત્રણ મોટા ચેકડેમની મરામત માટે રૂ. ૧ કરોડ પ૪ લાખ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સમઢીયાળા ચેકડેમ માટે રૂ. પ૧.૩ર લાખ, જૂની મોરવડ ચેકડેમ માટે રૂ. પ૩.૦૬ લાખ તેમજ નવી મોરવડ ચેકડેમ માટે રૂ. પ૦.૦૯ લાખ મરામત કામોના ફાળવ્યા છે.

આ ત્રણેય ચેકડેમ સુજલામ સુફલામ યોજના હેઠળ વર્ષ ર૦૦પ-૦૬માં ભોગાવો નદી ઉપર નિર્માણ પામેલા છે. ર૦૧૭ના વર્ષમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે આ ચેકડેમને નુકશાન થતાં રાજય સરકાર સમક્ષ તેના રિપેરીંગ કામ માટે કરાયેલી દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ અનુમતિ આપી છે.

તદ્દઅનુસાર, સમઢીયાળા ચેકડેમમાં બેય કાંઠાઓની વિંગવોલ, ડાબી બાજુની એબટમેન્ટ વોલ, બોડીવોલ તેમજ પૂરેપૂરી લંબાઇના એપ્રોન કામની મરામત થશે.

જૂની મોરવાડ ચેકડેમમાં બેય કાંઠાની વિંગવોલ, એપ્રોન તેમજ ચેકડેમ બોડીવોલ નીચેથી લીકેજ તેમજ પાઇપીંગ મરામતના કામો હાથ ધરાશે.

નવી મોરવાડ ચેકડેમમાં બેય કોઠા તથા એપ્રોનના ભાગમાં થયેલા નૂકશાનની મરામતના કામો કરવામાં આવશે.(

(1:31 pm IST)