Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

માળીયાનાં સોનીને કેશોદની મહિલાએ પ્રેમજાળમાં ફસાવી બે સાગ્રીતો સાથે રૂ.પ લાખની માંગણી કરી

ત્રણ સંતાનોનો પિતા સોની વેપારીને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતા ફરિયાદ

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૩ : જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે રહેતા સોની વેપારીને કેશોદની મહિલાએ પ્રેમજાળમાં ફસાવી અને પોતાના ઘરે બોલાવી બાદમાં બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બે સાગ્રીતોએ સાથે મળીને રૂ.પાંચ લાખની માંગણી કર્યાની ફરિયાદ સોનીએ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે માળીયા ખાતે રહેતા અને માળીયાના લીમડા ચોક ખાતે પુજા જવેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા પ્રદિપભાઇ મગનલાલ પાલા  (ઉ.વ.પ૭) નામનો સોની વેપારીએ કેશોદના પલવીનગરમાં રહેતી જયોતિ નામની મહિલા અને સિકંદર અચુ રફાઇ અને ઇમ્તીયાઝ નામના શખ્સ સામે મોડી રાતે હની ટ્રેપની ફરિયાદ કેશોદ પોલીસમાં નોંધાવી છે.

જેમાં આ સોની  વેપારીએ જણાવેલ કે, તેને જયોતિ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો. પરંતુ તેના લગ્ન થઇ જતાં સંબંધે પુરો કરી નાંખેલ જો કે, ગત રાત્રે જયોતિએ ફરિ પ્રદિપ પાલાને પ્રેમજાળમાં ફસાવી અને પોતાના ઘરે બોલાવતા પ્રદીપભાઇ જયોતિના ઘરે પહોંચયા હતા.

જયાં સિકંદર અને ઇમ્તીયાઝને આવી ચડી તમે કોણ છો શું કરવા આવ્યા છો તેમ કહી બંનેનું શુટીંગ કરી તેને વાયરલ કરી  દેવાની અને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂ.પાંચ લાખની માંગણી કરી હતી.

આ અંગેની ફરિયાદ પરથી કેશોદ પોલીસે જયોતિ તેમજ સિકંદર અને ઇમ્તીયાઝ સામે જુદીજુદી કલમ મુજબ ગુનો નોંધીને  ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભોગ બનનાર સોની વેપારીનો પરિવાર અમદાવાદ ખાતે રહેતો હોવાનું અને પોતે હાલ માળીયા ખાતે  એકલા રહે છે. તેમજ તેમને સંતાનમાં ૩૪ વર્ષ અને ૩૧ વર્ષના બે પુત્ર અને એક દિકરી સુરત ખાતે સાસરે હોવાનું તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હોવાનું જાણવા મળેલ છે. વિશેષ તપાસ પી.એસ.આઇ. કે.એસ. ડાંગર ચલાવી રહયા છે.

(12:46 pm IST)