Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

રાજકોટમાં જાહેર સ્‍થળોએ મેટલ ડીટેકટર, સિકયોરીટી ગાર્ડ અને સી.સી. કેમેરા મુકવા અંગેના આદેશો

બેંકીંગ સંસ્‍થાઓ, એ.ટી.એમ.સેન્‍ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ,મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્‍ટર, કોમર્શીયલ સેન્‍ટર, હોટેલ, ગેસ્‍ટહાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, સહિતના સ્થળોએ તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવ્યુ

રાજકોટ :રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલિસ કમિશ્નર રાજુ ભાર્ગવે તા. ૧-૧૧- ૨૦૨૨થી તા. ૩૧-૧૨-૨૦૨૨ સુધી બેંકીંગ સંસ્‍થાઓ, એ.ટી.એમ.સેન્‍ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ,મલ્ટીપ્લેકસ થીયેટર, શોપીંગ સેન્‍ટર, કોમર્શીયલ સેન્‍ટર, હોટેલ, ગેસ્‍ટહાઉસ, લોજીંગ-બૉર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્‍થળોના માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓએ તેમના ધંધાના સ્‍થળોના પ્રવેશ દ્વારો ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સીકયોરિટી ગાર્ડને મેટલ ડીટેકટર સાથે ફરજ પર નિયુકત કરવા ફરમાવેલ છે.

 પ્રવેશદ્વાર ઉપર તથા બહાર નીકળવાના દ્વાર પર, રીસેપ્‍શન કાઉન્‍ટર, લોબી, બેઝમેન્‍ટ, પાર્કીંગ તથા જાહેર જનતા માટેના પ્રવેશની તમામ જગ્યાઓ આવરી લઈ તેટલી સંખ્‍યામાં સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે. આ કેમેરા સારી ગુણવતાવાળા વધુ રેન્જના(માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય અને વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. તથા બિલ્‍ડીંગના બહારના ભાગે પી.ટી.ઝેડ કેમેરા ગોઠવવાના રહેશે. કોઇ પણ જગ્યાની અંદરના ભાગનું સંપૂર્ણ કવરેજ સતત થાય, પ્રવેશતા અને બહાર નીકળતા તમામ માણસોની અવર-જવર તથા ચહેરા સ્પષ્ટ જોઇ શકાય, તમામ પાર્કીગની જગ્‍યાનું સંપૂર્ણ કવરેજ થાય, તથા રીસેપ્‍શન કાઉન્ટર, બેઝમેન્‍ટ, અને જાહેર પ્રજા માટેના પ્રવેશની તમામ જગ્યાઓનું સૂપૂર્ણ કવરેજ થાય, તે રીતે આ કેમેરા ગોઠવવાના રહેશે.

 આ સી.સી. ટી.વી.ના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવવાના રહેશે. આ કેમેરા સતત ૨૪ કલાક સુધી ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો, ઉપભોક્તાઓ, વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની અને સિકયોરિટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉકત એકમોએ આ જાહેરનામાની પ્રસિધ્‍ધિથી દિન-૭માં કરવાની રહેશે. નવા શરૂ થતા એકમોએ  ઉપરોકત વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નર વિસ્‍તારમાં આ હુકમ તા. ૦૧-૦૧૧-૨૦૨૨ થી તા.૩૧-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(9:48 am IST)