Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં હડતાળ ૭માં દિવસેય જારી

મચ્છરોની સમસ્યા, કાર્યવાહીના વિરોધમાં હડતાળ : હડતાળના લીધે હરાજી અને અન્ય ગતિવિધિઓ ખોરવાઈ

અમદાવાદ,તા. ૨૫ : રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી હડતાળ જારી છે અને આ હડતાળ યથાવતરીતે આગળ વધી રહી છે. મચ્છરોના ઉપદ્રવ અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ હડતાળ જારી છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે બેઠક કરવામાં આવી રહી છે. માર્કેટ યાર્ડમાં કામગીરી ઠપ રહેતા કારોબારને અસર થઇ છે. લાંબા સમયથી થઇ રહેલી પરેશાનીને લઇને ગયા સોમવારે હડતાળની શરૂઆત કરવામાં આવી હતી. હરાજી અને અન્ય ગતિવિધિઓ આજે પણ ઠપ રહી હતી. હડતાળનો અંત લાવવા માટેના પ્રયાસો પણ થઇ રહ્યા છે. રાજકોટના મોરબી રોડ પર મચ્છરોના ત્રાસથી વકરેલા વિવાદમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સતત સાતમાં દિવસે પણ હડતાળ યથાવત છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.

       રોજનું ૮ કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થતા ખેડૂતો પોતાના પાક વેંચી શકતા નથી. આથી આર્થિક રીતે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓ એક જ માંગ સાથે અડગ છે કે પોલીસ વેપારીઓ પરથી કેસ પાછા નહીં ખેંચે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. આજે કિસાન સંઘના આગેવાનો સમાધાન માટે યાર્ડના સત્તાધીશોને મળવા પહોંચ્યા હતા ત્યારે વેપારીઓએ રોષ વ્યક્ત કરી કહ્યું હતું કે, હવે શું કામ આવ્યા, હડતાળનો આજે સાતમો દિવસ છે ત્યારે તમે કેમ ડાકોયા. આથી વેપારીઓ અને કિસાન સંઘ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કિસાન સંઘ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોને યાર્ડ ચાલુ કરાવવા સમજાવ્યા હતા. પરંતુ વેપારીઓ અડગ રહ્યા છે. આથી ખેડૂતો ગોંડલ યાર્ડ તરફ વળ્યા છે.

        ઉલ્લેખનીય છે કે સાત દિવસ પહેલા મચ્છરોના ત્રાસને કારણે વેપારીઓ અને ખેડૂતોએ રસ્તા પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. આથી પોલીસે બળપ્રયોગ કરી ૩૨ જેટલા વેપારીઓની અટકાયત કરી હતી. યાર્ડના સેક્રેટરી તેજાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યાર્ડ મામલે ચેરમેન ડી.કે. સખિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, આગામી એક કે બે દિવસમાં હડતાળનો નિવેડો આવે તેવી શક્યતા છે. જો કે, વેપારીઓમાં ઉગ્ર આક્રોશ અને નારાજગી પ્રવર્તી રહ્યા હોઇ આગેવાનો તેને મનાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે.

(9:35 pm IST)