Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી જંગલેશ્વરમાં ઇમરાન પર ૩ શખ્સોની ધોકાવાળી

હાલ વિનોદનગરમાં રહેતો યુવાન મિત્ર-સગાને મળવા જંગલેશ્વરમાં જતાં સાગર, હુશેન, મનીયો ઉર્ફ જીમ્મી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ પર વિનોદનગર કવાર્ટર નં. ૨૦૦૬ બ્લોક નં. ૩માં રહેતાં ઇમરાન અલ્તાફભાઇ પરમાર (ઉ.૨૨) નામના યુવાન પર રાતે નવેક વાગ્યે તે જંગલેશ્વરમાં શાળા નં. ૭૦ પાછળ કેજીએન પાનના ગલ્લે હતો ત્યારે આ વિસ્તારના સાગર બાવાજી, હુશેન જુનેજા અને મનીયો ઉર્ફ જીમ્મી આમદભાઇએ આવી ધોકાથી હુમલો કરી ગાળોદઇ તેમજ ઢીકા-પાટુનો બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને રામજીભાઇએ કરતાં ભકિતનગરના પીએસઆઇ આર. એન. સાકરીયાએ હોસ્પિટલે પહોંચી ઇમરાનની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોર સામે ગુનો નોંધ્યો હતો. ઇમરાનના કહેવા મુજબ અગાઉ પોતે પરિવાર સાથે જંગલેશ્વરમાં રહેતો હતો. જે તે વખતે આરોપીઓ વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરતાં તેમાં પોતે બાતમી આપ્યાની શંકા કરી મારકુટ કરવામાં આવી હતી. આ કારણે હાલમાં પોતે અને પરિવારજનો વિનોદનગરમાં રહેવા જતાં રહ્યા છે. અગાઉ તેણે મારામારીની ફરિયાદ પણ આ શખ્સો વિરૂધ્ધ કરી હતી.

ગત રાતે પોતે મિત્રો અને સગા જંગલેશ્વરમાં રહેતાં હોઇ તેને મળવા ગયો ત્યારે સાગર સહિતનાએ આવી તું કેમ આ વિસ્તારમાં આવ્યો, અમારા વિરૂધ્ધની ફરિયાદ પાછી કેમ ખેંચતો નથી? કહી ગાળો ભાંડી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)