Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કોઠારીયા ચોકડી કનૈયા ચોકમાં ત્રણ વર્ષના રાજનું ટાંકામાં પડી જતાં મોત

નળ પર ચડી પાણી ભરવા જતાં અંદર પડી ગયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭ઃ કોઠારીયા ચોકડી રણુજા મંદિર સામે કનૈયા ચોકમાં ભુવનેશ્વરી સોસાયટી શેરી નં. ૩માં રહેતાં રજપૂત પરિવારના ત્રણ વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
ભુવનેશ્વરી-૩માં રહેતાં અલ્કેશભાઇ નરેન્દ્રભાઇ પરિહારનો પુત્ર રાજ (ઉ.૩) ગઇકાલે ઘરે સિમેન્ટના પાણીના ટાંકામાં પડી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રાજ બે ભાઇમાં નાનો હતો. તેના પિતા પાણીપુરીની લારી કાઢે છે અને આ પરિવાર મુળ યુપીનો વતની છે.
રાજ બપોરે રમતો રમતો ટાંકામાંથી પાણી લેવા માટે નળ પર ચડીને નીચે નમતાં અંદર પડી ગયો હતો. ઍ દરમિયાન તેના માતા સીતાબેન બહાર આવતાં તેનું ધ્યાન પડી જતાં તુરત જ બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

(2:16 pm IST)