Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સ્‍માર્ટ સીટીમાં નિર્માણ પામી રહેલ ૧૧૪૪ આવાસોના લાઇટ હાઉસ પ્રોજેકટ આખરી તબક્કામાં : ટૂંક સમયમાં લોકાર્પણ

ગ્‍લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્‍જ અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્‍ટના અમલ માટે મધ્‍યપ્રદેશ, તમીલનાડુ, ઝારખંડ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશની સાથો - સાથ ગુજરાતના રાજકોટ શહેરનો પણ સમાવેશ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વપ્‍ન રાજકોટમાં થયું સાકાર

રાજકોટ તા. ૧૬ : દરેક છેવાડાના માનવીનું પોતાનું પાકું ઘર હોય જેના થકી ઘરના સભ્‍યો એક છત નીચે શાંતિ, સલામતી અને સુરક્ષા મેળવીને સમૃધ્‍ધિની રાહ પર વિકાસ સાધીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ જ દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું સ્‍વપ્‍ન છે. આ સ્‍વપ્‍નને નક્કર સ્‍વરૂપ આપવાનું કાર્ય મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના રૈયા સ્‍માર્ટ સીટીના ટી.પી. સ્‍કીમ નં ૩૨ માં ૪૫ મી. રોડ ખાતે મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણાધીન ગ્‍લોબલ હાઉસીંગ ટેક્‍નોલોજી ચેલેન્‍જ અંતર્ગત ૧૧૪૪ આવાસોનો લાઈટ હાઉસ પ્રોજેક્‍ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે.  સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં બનાવવામાં આવેલા ૩ તળાવો પૈકી ૧ તળાવ આ આવાસ યોજનાની નજીકમાં જ આવેલું છે, જેનો લાભ આવાસ યોજનાના લાભાર્થીઓ મળશે.
મિનિસ્‍ટ્રી ઓફ હાઉસિંગ એન્‍ડ અર્બન અફેર્સ  દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના - અર્બન મિશન અંતર્ગત વિશ્વના સૌથી મોટા પબ્‍લિક હાઉસિંગ પ્રોગ્રામ હેઠળ-૨૦૨૨ સુધીમાં દરેક નાગરિકોને મજબુત, પાક્કા અને ટકાઉ રહેઠાણો સહિત પાયાની તમામ સુખ - સુવિધાઓ પૂરા પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યો છે. જેના ભાગ રૂપે સમગ્ર દેશમાં કુલ ૬ રાજયોમાં ૬ જુદી જુદી ટેક્‍નોલોજીના ઉપયોગથી ૬૩૦૦ થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મધ્‍યપ્રદેશના ઈન્‍દોર, તમીલનાડુના ચેન્નઈ, ઝારખંડના રાંચી, ત્રિપુરાના અગરતલ્લા અને ઉત્તર પ્રદેશના લખનૌની સાથોસાથ ગુજરાતના રાજકોટ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્‍યો છે.
ઘણા દેશોમાં બિલ્‍ડિંગ કન્‍સ્‍ટ્રક્‍શન માટે પહેલેથી જ આ પધ્‍ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવેલા આવાસોના નિર્માણ માટે મોનોલીથીક ટેકનોલોજીનો ઉપયોગ સૌ પ્રથમ વાર કરવામાં આવ્‍યો છે. જે બોક્‍સ ટાઈપ સ્‍ટ્રકચર આધારીત છે. રાજકોટમાં અંદાજિત રૂ. ૧૨૫ કરોડના ખર્ચે કુલ ૭૬,૪૫૪.૫૯ ચો.મીના ટોટલ બિલ્‍ટ અપ એરીયામાં નિર્માણ પામેલા લાઈટ હાઉસ પ્રોજેક્‍ટ અંતર્ગત કુલ ૧૧૪૪ આવાસ બનાવવામાં આવ્‍યા છે. જેમાં ૧૩ માળના ૧૧ ટાવર બનાવવામાં આવ્‍યા છે. ૬૭૪૧.૬૬ ચો.મી. એરીયા એક ટાવર માટે ફાળવવામાં આવ્‍યો છે. એક માળ પર ૮ આવાસનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. એક આવાસ અંદાજિત રૂ. ૧૦.૩૯ લાખમાં તૈયાર થાય છે, જેમાં કેન્‍દ્ર સરકાર દ્વારા રૂ. ૫.૫૦ લાખ અને રાજય સરકાર દ્વારા રૂ. ૧.૫૦ લાખની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. જયારે લાભાર્થીઓ દ્વારા રૂ. ૩.૩૯ લાખ ચુકવવામાં આવે છે. આવાસમાં લીવીંગરૂમ, બેડરૂમ, સ્‍ટડીરૂમ, કિચન, વોશિંગ એરીયા, બે ટોઈલેટ-બાથરૂમ, વીટ્રીફાઈડ ટાઈલ્‍સ, લાઈટ-પાણી, સુંદર હવા-ઉજાસ, રસોડામાં પાઈપ્‍ડ ગેસ, પ્‍લેટફોર્મની નીચે કેબીનેટ સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે.

 

(10:02 am IST)