Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આપાગીગાના ઓટલે નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવ

આવતા ગુરૂવારે ભવ્ય- દિવ્ય આયોજન : નોરતામાં ભૂદેવો દ્વારા દરરોજ થતું અનુષ્ઠાનઃ રાજકોટ - સૌરાષ્ટ્રની ૧૦ હજાર બાળાઓ ગરબે રમશેઃ બાળાઓને લ્હાણી, અન્નકોટ પ્રસાદ, ભેટપૂજા અપાશે : સાધુ - સંતોની ઉપસ્થિતિઃ સાધુ સંતોના હસ્તે બીડુ હોમાશે : આર્શીવચન પાઠવશેઃ સાધુ - સંતો, દિકરીઓ, ભાવિકોને લાભ લેવા નરેન્દ્રબાપુ, ગુરૂ શ્રી શામજીબાપુની અપીલ

રાજકોટ, તા. ૧૫ : નવલા નોરતા ચાલી રહ્યા છે. દિકરીઓ માતાજીની આરાધના કરી રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી આપાગીગાના ઓટલે દિવ્ય ભવ્ય અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ - અમદાવાદ નેશનલ હાઈવે, બામણબોર ટોલનાકાથી ૫ કિ.મી.ના અંતરે મુ. મોલડી (બાવન હનુમાન) ગામના વણાંક પાસે આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ (ગુરૂ શ્રી જીવરાજબાપુ)એ જણાવ્યુ હતું કે, આગામી તા.૧૮ના ગુરૂવારે શ્રી દિવ્ય ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. પૂ. જવરાજબાપુ ગુરૂ શ્રી શામજીબાપુના આર્શીવાદથી ૧૮મીના સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ગરબા મહોત્સવનું આયોજન કરેલ છે. સવારે ૧૦ થી અન્નકોટ મહાપ્રસાદનું દર્શન બાદ વિતરણ કરવામાં આવશે. સાંજે ૫ વાગ્યાથી દિકરીઓને લ્હાણી વિતરણ તેમજ સાધુ સંતોને મહાપ્રસાદ બાદ ભેટ - પૂજાનું વિતરણ થશે.

શ્રી આપાગીગાના ઓટલે ૧૦ હજારથી વધુ બાળાઓ એક સાથે ગરબે ઘૂમશે. દિકરીઓને અન્નકોટ પ્રસાદ, લ્હાણી અને ભેટ પૂજા આપવામાં આવશે. સાધુ - સંતોને પણ આપાગીગાના ઓટલાની પરંપરા મુજબ ભેટ પૂજા આપવામાં આવશે.

નરેન્દ્રબાપુએ વધુમાં જણાવેલ કે ૧૮મીના ગુરૂવારે સવારે ૯ થી ૫ આયોજીત શ્રી દિવ્ય ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવમાં સાંજે ૪ વાગ્યે સાધુ - સંતોના હસ્તે બીડુ હોમવામાં આવશે. હાલ નવલા નોરતા દરમિયાન દરરોજ સવારે ૮:૩૦ વાગ્યાથી ભૂદેવો દ્વારા અનુષ્ઠાન ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આપાગીગાના ઓટલે ભજન, સંતવાણી સાથે ૨૪ કલાક મહાપ્રસાદ ધમધમે છે. દર અષાઢી બીજે ધ્વજારોહણ યોજાય છે. રાજકોટ - સૌરાષ્ટ્રની દરેક ગરબી મંડળની દિકરીઓને ઓટલે પ્રસાદ, લ્હાણી, ભેટપૂજાનો લાભ લેવા ગરબી મંડળના આયોજકોને નરેન્દ્રબાપુ (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮) (ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા અપીલ કરાઈ છે. (૩૭.૪)

(12:03 pm IST)