Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

વાર્ષિક ૧૧ કર્તવ્યો

સંઘપૂજાઃ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના તીર્થકર ભગવંતો કરે છે અને તેઓ ખુદ પણ શ્રી સંઘને નમસ્કાર કરે છે. શ્રી સંઘની યથાશકિત પૂજા કરવી જોઈએ.

સાર્ધિમક ભકિતઃ સાધર્મિકના આધારે જ ધર્મ ટકે છે. તેથી તેમની ભકિત વિશેષ પ્રકારે કરવી જોઈએ. ત્રાજવાનાં એક પલ્લામાં જીવનમાં કરેલો તમામ ધર્મ મૂકવામાં આવે અને બીજાં પલ્લાંમાં સાધર્મિક ભકિત મૂકવામાં આવે તો સાધર્મિક ભકિતનું પલ્લું નમી જાય છે.

યાત્રા ત્રિકઃ ત્રણ પ્રકારની યાત્રા કરવી જોઈએ. અષ્ટાનિકા યાત્રા એટલે જિનેશ્વર પ્રભુની ભકિત સ્વરૂપ અઠ્ઠાઈ ઉત્સવ વગેરે. રથયાત્રા એટલે સુશોભિત રથમાં પ્રભુને બિરાજમાન કરી સામૂહિક શોભાયાત્રા કરવી અને તીર્થયાત્રા એટલે વિધિપૂર્વક સ્થાવર તીર્થની યાત્રા.

સ્નાત્ર મહોત્સવઃ તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે દેવો મેરૂ પર્વત પર જઈને પરમાત્માના જન્મ મહોત્સવની ઉજવણી કરે છે. મેરૂ શિખર પર દેવોએ પ્રભુને કરેલ અભિષેકની પ્રતિકૃતિ સ્વરૂપ સ્નાત્ર મહોત્સવ કરવો તે શ્રાવક- શ્રાવિકાનું કર્તવ્ય છે.

દેવદ્રવ્યની વૃદ્ધિઃ ધનની આસકિત ઓછી થાય તે માટે દેવની ભકિત સ્વરૂપે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. દેવદ્રવ્યનો ઉપયોગ જિનાલય તેમ જ જિનપ્રતિમા માટે જ કરી શકાય છે.

મહાપૂજાઃ ઉત્તમ દ્રવ્યોથી જિનેશ્વર પ્રભુને વિશિષ્ટ રીતે મહાપૂજા કરવી. મહાપૂજામાં જિનાલયને શણગારવામાં આવે છે.

રાત્રિ જાગરણઃ ભગવાનના કલ્યાણક દિવસો, ગુરૂનિર્વાણ દિન કે મોટી તપસ્યા વગેરેના નિમિત્તે રાત્રિ જાગરણ કરવું જોઈએ. રાત્રિજાગરણ દરમિયાન માત્ર પરમાત્મભકિત કરવી જોઈએ.

શ્રુતભકિતઃ શ્રુત ભણવું, ભણાવવું, લખવું લખાવવું આદિ શ્રુતભકિત છે. જુના કાળમાં શાસ્ત્રગ્રંથો હાથે લખવામાં આવતા, જેને કારણે તેનું આયુષ્ય હજારો વર્ષોનું રહેતું હતું.

ઉદ્યાપનઃ તપના અનુષ્ઠાન દ્વારા આત્મામાં પ્રગટેલા આનંદની અભિવ્યકિત રૂપે ઉત્તમ ધાર્મિક ઉપકરણો વડે ઉદ્યાપન કરવું.

તીર્થ પ્રભાવનાઃ વિશિષ્ટ તીર્થોમાં સંપત્તિનો સદવ્યય કરવો તે તીર્થ પ્રભાવના છે.

અલોચનાઃ વ્રત, નિયમ, ધર્મક્રિયા દરમિયાન થયેલ અવિધિ, આશાતના કે ખંડન થયું હોય તેનું પ્રાયિશ્ચત કરવું. આ વાર્ષિક ૧૧ કર્તવ્યો શ્રાવક જીવનના શણગારરૂપ છે. જેનાથી ધર્મના વિવિધ ક્ષેત્રો પણ ઉજાગર થાય છે.

આલેખનઃ આદર્શ ભારત નેટવર્ક

(4:28 pm IST)