Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આજી ડેમમાં નર્મદાનીર ઠાલવાનો મુખ્યમંત્રીનો પ્રજાલક્ષી નિર્ણય : કાલ સુધીમાં પાણી આવી પહોચશે

મુખ્યમંત્રીનો આભાર માનતા મેયર અને કમિશનર

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાની વિનંતીને માન આપીને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરેલા પ્રજાલક્ષી ઉમદા નિર્ણયના પગલે સૌની યોજના હેઠળ આવતી કાલ સુધીમાં રાજકોટના આજી ડેમમાં નર્મદાનીર આવી પહોચશે તેમ માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મેયરશ્રી અને કમિશનરશ્રીએ વધુમાં રાજકોટ માટે આ આશીર્વાદરૂપ નિર્ણય બદલ માન. મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા એમ જણાવ્યું હતું કે, આજી ડેમમાં કુલ ૯૩૦ MCFT જળ સંગ્રહ ક્ષમતા સામે હાલ માત્ર ૨૦૦ MCFT જળ જથ્થો જ હોય, મુખ્યમંત્રીશ્રી સમક્ષ આગામી સમયને ધ્યાનમાં રાખીને રાજકોટના જળાશયોની વર્તમાન સ્થિતિ રજુ કરવામાં આવી હતી અને આજી ડેમમાં અલ્પ પ્રમાણમાં જળ જથ્થો હોવા પણ માન. મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કરવામાં આવેલ, આ સમગ્ર સ્થિતિ રજુ કરી આજી ડેમ માટે નર્મદા નીર દેવડાવા મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનતી કરવામાં આવી હતી. મેયરશ્રી અને કમિશનરશ્રી આનંદ વ્યકત કરતા એમ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજકોટ વાસીઓને પીવાના પાણીની કોઈ તકલીફ ન થાય તે બાબતને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રીએ આજી ડેમ માટે નર્મદાના ૭૩૫ MCFT નીર છોડવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે નર્મદાનીર છોડવાનું શરુ થઇ ચૂકયું છે અને આવતી કાલ સુધીમાં નર્મદાના નીરનું શુભઆરંભ થઇ જશે. મેયરશ્રી અને કમિશનરશ્રી ફરી એકવાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો તમામ રાજકોટ વાસીઓ વતી આભાર વ્યકત કરેલ હતા.(૨-૧૯)

(3:58 pm IST)