News of Monday, 28th September 2020
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં અચાનક બહાર આવેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલી રિયા ચક્રવર્તીએ 26 સ્ટાર્સના નામ લીધા છે જેમાં સારા અલી ખાનનું નામ પણ છે. સારાને એનસીબીએ શનિવારે પૂછપરછ માટે બોલાવી હતી. તે જ્યારે શનિવારે એનસીબીની ઓફિસે પહોંચી તો ત્યાં તેને ડ્રગ્સ અંગે તમામ પ્રકારના સવાલ પૂછવામાં આવ્યાં. આ દરમિયાન સારાને તેના અને સુશાંત વચ્ચેના સંબંધ વિશે પણ સવાલ પૂછાયા. સારાએ NCBના અધિકારીઓ સામે સ્વીકારી લીધુ કે તે સુશાંત સાથે રિલેશનશીપમાં હતી.
સારાએ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોને જણાવ્યું કે તેણે સુશાંતને ડેટ કર્યો હતો. અત્રે જણાવવાનું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ સારા અને સુશાંતના અફેરને લઈને ખુબ ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ બંનેએ પોતાના સંબંધનો જાહેરમાં ખુલાસો કર્યો નહતો. સારાની ડેબ્યુ ફિલ્મ કેદારનાથ વર્ષ 2018માં આવી હતી. જેમાં તેનો હીરો સુશાંત સિંહ રાજપૂત હતો.
14 જૂનના રોજ સુશાંતના મોતના એક અઠવાડિયા બાદ તરત તેના મિત્ર સેમ્યુઅલ હાઓકિપે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે 'સારા અને સુશાંત રિલેશનશીપમાં હતાં પરંતુ બોક્સઓફિસ પર સોનચિરિયા ફ્લોપ થઈ જતા સારા તૂટી ગઈ હતી.'
એનસીબી દ્વારા કરાયેલી પૂછપરછમાં સારા અલી ખાને જણાવ્યું કે ફેબ્રુઆરી 2018માં ફિલ્મ કેદારનાથના શૂટિંગ દરમિયાન તેમની વચ્ચે અફેર શરૂ થયું હતું. એટલું જ નહીં તે સુશાંત સાથે તેના મુંબઈ સ્થિત રેસિડેન્સ કેપ્રી હાઈટ્સમાં સાથે રહેવા પણ ગઈ હતી. તેણે એ પણ જણાવ્યું કે તે થાઈલેન્ડ ટ્રીપ પર સુશાંત સાથે ગઈ હતી.
સારાએ એનસીબીને જણાવ્યું કે સુશાંતના લોનાવાલા ફાર્મ હાઉસ ઉપર પણ અનેકવાર ગઈ હતી. એનસીબીની પૂછપરછમાં સારાએ ડ્રગ્સ લેવાની વાતનો તો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો પરંતુ સિગરેટ સેવનની વાત સ્વીકારી છે. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો છે કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. ડ્રગ્સ કેસમાં સારા ઉપરાંત અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સહિત ફેશન ડિઝાઈનર સિમોન ખંભાતાની પણ એનસીબીએ પૂછપરછ કરી છે. આ તમામ જાણીતી હસ્તીઓના નામ રિયાએ એનસીબી પૂછપરછમાં જણાવ્યાં હતાં.