Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

આ મહામારીએ વધુ એક રત્‍ન-એક સુખદ આત્‍મીય અવાજ આપણી પાસેથી છીનવી લીધોઃ અમિતાભ બચ્‍ચને દિવંગત ગાયક એસ.બી. બાલાસુબ્રમણ્‍યમને શ્રદ્ધાંજલી અર્પી

નવી દિલ્હીઃ મહાનાયક અમિતાભ બચ્ચનએ દિવંગત ગાયક એસપી બાલાસુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યુ કે, તમામ સિદ્ધિઓ બાદ પણ તેઓ ખુબ વિનમ્ર વ્યક્તિ હતા. કોરોના વાયરસ સંક્રમણ સામે બે મહિના કરતા વધુ સંઘર્ષ કર્યા બાદ શુક્રવારે 74 વર્ષીય બાલાસુબ્રમણ્યમનું નિધન થઈ ગયું હતું.

બાલાસુબ્રમણ્યમ ખુબ વિનમ્ર વ્યક્તિ હતાઃ અમિતાભ બચ્ચન

શનિવારે પોતાના બ્લોગ પર લખતા બચ્ચને કહ્યુ કે, એસપીબીના અવાજમાં ઈશ્વરનો આશીર્વાદ હતો. તેમણે લખ્યું- 'કામની વચ્ચે મનમાં વારંવાર આપણને છોડીને જઈ ચુકેલા બાલાસુબ્રમણ્યમનો ખ્યાલ આવી રહ્યો છે. તેમનો ઈશ્વરે ચુકવેલ અવાજ શાંત થઈ ગયો છે. પાછલા ઘણા દિવસમાં અમારા ઘણા ખાસ લોકો અમને છોડીને લગભગ કોઈ સારા સ્થાન માટે ચાલ્યા ગયા છે. આ મહિમારીએ વધુ એક રત્ન, એક સુખદ આત્મીય અવાજ આપણી પાસેથી છીનવી લીધો.'

રાષ્ટ્રીય પુરસ્કારોથી થયા સન્માનિત

પ્રખ્યાત ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે પાંચ દાયકા લાંબા પોતાના કરિયરમાં 16 ભાષાઓમાં 40,000થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો અને છ વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યો હતો. તેમનું 2001મા પદ્મ શ્રી અને 2011મા પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું. 77 વર્ષીય બચ્ચને બંન્નેની એક તસવીર શેર કરી અને કહ્યુ- ઘણા વર્ષો પહેલા એક સમારોહમાં મને તેમને મળવાનું સન્માન મળ્યુ હતું. તમામ સિદ્ધિઓ બાદ પણ તેઓ વિનમ્ર વ્યક્તિ હતા. બાલાસુબ્રમણ્યમના તમિલનાડુ પોલીસની 24 બંદૂકોની સલામી વચ્ચે શનિવારે અહીં તેમના ફાર્મ હાઉસ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

(4:24 pm IST)