Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

વિડીયો : પાકિસ્તાન પડ્યુ ઘૂંટણીયે...

ભયભીત પાકિસ્તાન ઝુક્યું : વિંગ કમાન્ડરને કાલે છોડવા જાહેરાત

ભારતની વધુ કઠોર કાર્યવાહીના ભય હેઠળ અભિનંદનને છોડવા તૈયાર : પાકિસ્તાની સંસદમાં વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરતા ભારતની મોટી જીત થઇ : શાંતિ સ્થાપવા ઇમરાન ખાનનો આંતરરાષ્ટ્રીય સમુદાયને અનુરોધ

નવીદિલ્હી, તા. ૨૮ : સરહદ ઉપર જારી ભીષણ ગોળીબાર અને ભારતીય સેનાની સંભવિત કાર્યવાહીને લઇને ભયભીત પાકિસ્તાને આખરે શરણાગતિ સ્વીકારી લીધી છે. પાકિસ્તાને વિશ્વ સમુદાયના દબાણ અને ભારતની જોરદાર કાર્યવાહી બાદ અંતે ઝુકી જઈને બાનમાં પકડેલા ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને છોડી દેવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન સંસદમાં સંબોધનમાં વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે, શાંતિનો સંદેશ આપીને અમે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને આવતીકાલે મુક્ત કરી દઇશું. એક દિવસ પહેલા જ પાકિસ્તાનના યુદ્ધ વિમાનો ભારતીય ક્ષેત્રમાં હવાઈ હુમલાના પ્રયાસ કર્યા ત્યારે ભારતીય જેટે પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કરી દીધા હતા. આ ગાળા દરમિયાન ભારતનું એક મિગ વિમાન તુટી પડ્યું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન ખરાબ હવામાનના કારણે પવનના લીધે પાકિસ્તાન પહોંચી ગયા હતા. પેરાશૂટથી વિંગ કમાન્ડર કુદી ગયા ત્યારે ભારતના બદલે પાકિસ્તાનમાં નીચે ઉતરતા તેમને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધા હતા. ત્યારબાદથી સ્થિતિ વિસ્ફોટક બનેલી હતી. આખરે વિંગ કમાન્ડરને લઇને જોરદાર દબાણ પાકિસ્તાન ઉપર લાવવામાં આવ્યું હતું. ત્યારબાદથી સ્થિતિ ઝડપથી બદલાઈ રહી હતી. સ્થિતિ વિસ્ફોટક પણ બની રહી હતી. યુદ્ધ જેવું વાતાવરણ થઇ ગયું હતું. પાકિસ્તાનને એવો ભય પણ હતો કે, અભિનંદનને છોડાવવા માટે ભારત કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. ઇમરાન ખાનના સંબોધનમાં આ અંગેની દહેશત સ્પષ્ટપણે નજરે પડી હતી. ઇમરાને કહ્યું હતું કે, અમે ભારતને એક સંદેશ આપ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. દુનિયાના અનેક દેશો સાથે વાતચીત કરીને તંગદિલી ઘટાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઇમરાને પોતે કહ્યું હતું કે, પાકિસ્તાનને એવી શંકા હતી કે, કોઇ મિસાઇલ હુમલો થઇ શકે છે. પાકિસ્તાની સંસદમાં બોલતા ઇમરાન ખાને પોતાની સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે, કરતારપુર કોરિડોરને તંગદિલી ઘટાડવા માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પુલવામામાં હુમલા અંગે ફરીવાર ઇમરાને કોઇ વાત કરી ન હતી. ઇમરાને કહ્યું હતું કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ એ વખતે પાકિસ્તાન આવ્યા હતા જ્યારે પુલવામાની ઘટના બની હતી. ક્રાઉન પ્રિન્સ આવ્યા ત્યારે એવા કયા દેશના લોકો હશે જે આ પ્રકારના હુમલા કરાવી શકે છે. આનાથી પાકિસ્તાનને શુ મળવાનું હતું. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, ભારતે પુલવામા અંગે દસ્તાવેજો હવે આપ્યા છે. ભારતે બે દિવસ પહેલા જ કાર્યવાહી પણ કરી દીધી છે. આ ગાળા દરમિયાન ઇમરાને પાકિસ્તાનની તાકાતનો પણ પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને ગઇકાલે જ ભારતના બે જેટ વિમાનો તોડી પાડ્યા હતા. ઇમરાને અહીં પણ ખોટુ નિવેદન કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલય તરફથી સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતનું એક મિગ-૨૧ વિમાન ક્રેશ થયું છે અને એક પાયલોટ લાપત્તા છે. ઇસ્લામિક આતંકવાદ અંગે ચર્ચા કરતા ઇમરાને કહ્યું હતું કે, ૯-૧૧થી પહેલા વધારે ખતરનાક હુમલા એલટીઈઈ દ્વારા કરવામાં આવતા હતા જેમાં હિન્દુ લોકો સામેલ હતા. ભારત હવે કોઇ કાર્યવાહી કરશે તો પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે. અમે તંગદિલી ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પાકિસ્તાનની નબળાઈ તરીકે આને ગણવામાં આવે તે યોગ્ય નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ ઇમરાને આવી જ રજૂઆત કરી હતી. પોતાના સંબોધનમાં ઇમરાને કહ્યું હતું કે, બહાદુરશાહ ઝફર અને ટીપુ સુલ્તાન બે મોટા નવાબ થયા હતા. ઝફરે ગુલામી અને આઝાદીમાંથી ગુલામીને પસંદ કરી હતી પરંતુ ટીપુ સુલ્તાને સ્વતંત્રતા પસંદ કરી હતી. આ દેશમાં હિરો તરીકે ટીપુ સુલ્તાન હોવાનો દાવો ઇમરાને કર્યો હતો.

(7:41 pm IST)