Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

નિર્વાણી અખાડાએ પ્રધાનમંત્રી કાર્યાલયને નોટિસ મોકલી

રામ મંદિર ટ્રસ્ટ ઉપર વિવાદ યથાવત જારી : મહંત ધર્મદાસે મંદિરના પૂજારીની ગાદી માટે દાવો માંડ્યો

નવી દિલ્હી, તા. ૨૭ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનની તૈયારી વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લઇને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. નિર્વાણી છાવણીના મહંત ધર્મદાસે પીએમઓને લીગલ નોટિસ મોકલીને ટ્રસ્ટમાં સ્થાન મળવા પર રોષ જાહેર કર્યો છે. નોટિસમાં દર્શાવવામાં આવ્યુ છે કે, નિર્વાણી અખાડાએ રામ જન્મભૂમિ વિવાદની કાયદાકીય લડાઇમાં મહત્વની ભૂમિકા ભજવી છતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં તેને સ્થાન નથી મળ્યુ. મહંત ધર્મદાસે નિર્વાણી અખાડાને ટ્રસ્ટમાં સામેલ કરવાની માંગ કરતા કહ્યુ છે કે, બે મહિનાની અંદર તેમને નવા રામ મંદિરના પુજારી તરીકે નિમવાનો નિર્ણય લેવામાં આવે. નિર્વાણી અખાડાના મહંતનું કહેવુ છે કે, તેમની માંગ પર વિચાર કરવામાં આવ્યો તો તેઓ કાયદાનો સહારો લેશે.

            ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં લડાઇ દરમિયાન નિર્વાણી અખાડો પક્ષકાર તરીકે સામેલ હતો, જેને લઇને મહંત ધર્મદાસે પુજારીની ગાદી પર દાવો માંડ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામ જન્મભૂમિ પર મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી જેમાં મુખ્ય અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ છે. મહાસચિવ ચંપત રાય છે. નૃપેન્દ્ર મિશ્રાને ભવન નિર્માણ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ગોવિંદ દેવ ગિરીને ખજાનજી, જ્યારે કેસમાં મુખ્ય વકીલ ૯૨ વર્ષીય પરાસરનને રામ મંદિર ટ્રસ્ટની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. સિવાય ટ્રસ્ટમાં શંકરાચાર્ય સાથે પાંચ સભ્યો પણ સામેલ છે. ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પણ સ્થાન મળ્યુ છે.

(9:48 pm IST)