Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રાહુલ ગાંધી આજથી બે દિવસ મધ્યપ્રદેશના પ્રવાસેઃ ૬ જાહેરસભા અને ૨ રોડ શો કરશે

નવીદિલ્હી,તા.૧૫: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસે ગ્વાલીયર પહોંચ્યા હતા. તેમણે પોતાના પ્રવાસની શરૂઆત દતિયામાં પીતાંબરપીઠના દર્શન કરીને કરી હતી. તેઓ મધ્યપ્રદેશમાં બે દિવસ દરમિયાન ૬ જાહેરસભાને સંબોધન કરનાર છે. ઉપરાંત તેઓના ૨ રોડ શોનું પણ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. પીતાંબરપીઠના દર્શન કરી દતિયામાં જાહેર સભાને સંબોધી હતી. ત્યારબાદ  તેઓ બપોરે ડબરા પહોંચી લોકોને સંબોધ્યા હતા.

બપોર બાદ તેઓ ગ્વાલીયર પહોચ્યા હતા. જયાં તેમણે કોંગ્રેસના દિવંગત નેતા માધવરાવ સિંધીયાની સમાધીએ શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી. ત્યાર બાદ તેમના પહેલા રોડ શોનું આયોજન કરાયું છે. રોડ શો બાદ તેઓ કુલબાગ મેદાનમાં જંગી જાહેર સભાને પણ સંબોધન કરનાર છે.

જયારે આવતીકાલે તા.૧૬ના રોજ તેઓ સવારે ગ્વાલીયર ફોર્ટ સ્થિત દાતા બંદ છોડ સાહીબ ગુરૂદ્વારાના દર્શને જનાર છે. ત્યાંથી તેઓ શ્યોપુર પહોંચી મેળા ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધશે. ત્યાંથી તેઓ સબલગઢ અને જૌરામાં સભા સંબોધન કરનાર છે. પ્રવાસના અંત ભાગમાં તેઓ જૌરાથી મુરૈના સુધી બસમાં ૨૬ કિ.મી.લાંબો રોડ શો કરનાર છે. ત્યાંથી તેઓ ગ્વાલીયર પહોંચી રાત્રે દિલ્હી પરત ફરશે.

(3:29 pm IST)