Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

રાજ્યમાં શિવસેનાનો મુખ્ય પ્રધાન સ્થાપીને પછી જંપીશ : મહારાષ્ટ્રના હિતમાં નાછૂટકે ભાજપ સાથે બાંધછોડ કરી

સમાનામાં આપેલ ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું ભાજપ સાથેનું અમારૂ ગઠબંધન હિન્દુત્વ પર આધારિત

મુંબઈ : શિવસેનાના કાર્યવાહક પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અમે મહારાષ્ટ્રના હિતમાં નછૂટકે ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યવાહક તંત્રીને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવે કહ્યું હતું કે ભાજપ સાથેનું અમારૂ ગઠબંધન હિન્દુત્વ પર આધારિત છે. જો કે તેમણે એવો એકરાર કર્યો તો કે સમગ્ર રાજ્યના હિતમાં અમે આ ગઠબંધનમાં ઘણું કોમ્પ્રોમાઇઝ કર્યું છે.

   તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્યના હાલના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને ચંદ્રકાંત પાટિલે મને કહ્યું હતું કે પ્લીઝ અમારી સમસ્યા સમજવાનો પ્રયાસ કરો. એટલે મેં ઓછી બેઠકો પર ચૂંટણી લડવાની સંમતિ આપી હતી. આમ છતાં, તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં શિવસેનાના મુખ્ય પ્રધાન ન બને ત્યાં સુધી હું શાંત બેસવાનો નથી. મારા પિતાને મેં વચન આપ્યું હતું કે એક દિવસ રાજ્યમાં શિવસેનાનો મુખ્ય પ્રધાન સ્થાપીને પછી જંપીશ. પિતાને આપેલું વચન સાકાર ન કરું ત્યાં સુધી હું શાંત નહીં બેસું.

(12:42 pm IST)