Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સોજીત્રા તાલુકાના ગણેશપુરા સીમમાં વૃઘ્ધની ધારીયાના 10 ઘા ઝીંકી કરપીણ હત્યાથી ચકચાર

સોજીત્રા: તાલુકાના ઈસણાવ તાબેના ગણેશપુરા સીમમાં આવેલા ગોસીવાળા ખેતરમાં ટ્રેક્ટર લઈને ખાતર નાંખવા માટે ગયેલા એક આધેડની યુવાને ધારીયાના ૧૦ જેટલા ઘા મારીને કરપીણ હત્યા કરી નાંખતા સમગ્ર સોજીત્રા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સોજીત્રા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાની ધરપકડ કરી હત્યામાં વપરાયેલું ઘારીયું જપ્ત કરીને વધુ તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ઈસણાવ ગામના ગણેશપુરા ખાતે રહેતા ભલાભાઈ પરમાર (ઉ. વ. ૫૮)ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ દ્વારા તાજેતરમાં જ લોન પર ટ્રેક્ટર ખરીદીને તેનો ઉપયોગ ખેતમજૂરી માટે તેમજ ભાડુ મળે તો વર્ધી મારતા હતા. તેમના ફળિયામાં જ રહેતા શંકરભાઈ રાવજીભાઈ પરમાર (ઉ. વ. ૪૫)સાથે તેમને પાંચેક વર્ષ પહેલા અણબનાવ બન્યો હતો જેને લઈને બન્ને વચ્ચે બોલચાલનો પણ કોઈ સંબંધ રહ્યો નહોતો. દરમ્યાન શંકરભાઈએ પોતાનું ગોસીવાળુ ખેતર એક દેવીપૂજકને ગીરો આપતાં આ દેવીપૂજક દ્વારા ભલાભાઈને તેમના ગીરો રાખેલા ખેતરમાં ખાતર નાંખવાનું જણાવ્યું હતુ. જેથી ભલાભાઈ ખાતર લઈને બપોરના સવા બારેક વાગ્યાના સુમારે ખેતરમાં ગયા હતા. 
જ્યાં ટ્રેક્ટર લઈને આવેલા ભલાભાઈને જોતાં જ શંકરભાઈ રાવજીભાઈ પરમારનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને ધારીયું લઈ આવીને તુ મારા ખેતરમાં ટ્રેકટર લઈને કેમ આવ્યો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલી ધારીયું લઈને તૂટી પડ્યો હતો અને ગળા, ડાબા ગાલે, ડાબા કાને તેમજ માથાના ભાગે ઉપરાછાપરી દશેક જેટલા ઘા મારી દેતાં ભલાભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યા હતા અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ભલાભાઈનો ભત્રીજો નજીકના ખેતરમાં પાણી વાળતો હોય તેણે આ ઘટના દૂરથી જોઈ હતી જેથી દોડીને ઘરે જઈ પરિવારના સભ્યોને બોલાવી લાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ભલાભાઈનું પ્રાણપંખરુ ઉડી જવા પામ્યું હતુ. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને હત્યારા શંકરભાઈ રાવજીભાઈ પરમારની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. આમ, જુની અદાવતમાં આધેડની ઘાતકી હત્યા થઈ જતાં જ સમગ્ર ઈસણાવ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

(4:41 pm IST)