Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અકસ્માતમાં ઇજા પામનાર પરિજનોને વળતરનો હુકમ

અકસ્માતના કેસમાં ૨૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો : અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિમા કંપનીને પણ વળતર ચૂકવવા ફરમાન કર્યું : વળતર નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા તાકીદ

અમદાવાદ, તા.૩૧ : મોટર વાહન અકસ્માતના એક કેસમાં શહેરની મીરઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ૧૯૯૪માં થયેલા અકસ્માત અંગે ૨૪ વર્ષ બાદ ચુકાદો આપી કસૂરવાર વીમા કંપની નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીને અક્સ્માત સમયે ઇજા પામનાર લોકોને વળતર ચૂકવવા મહત્વનો હુકમ કર્યો છે. જો કે, કોર્ટે આ અકસ્માત માટે પતિને પણ તેના બેદરકારીભર્યા ડ્રાઇવીંગ બદલ જવાબદાર ગણી તેને પણ પોતાના જ પરિવારના સભ્યોને વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વીમાકંપની અને પતિને ઇજાગ્રસ્ત પરિવારજનોને કુલ મળી રૂ.૨૫ હજારનું વળતર નવ ટકાના વ્યાજે ચૂકવી આપવા પણ તાકીદ કરી છે. આ કેસની વિગત એવી છે કે, ગત તા.૯-૮-૧૯૯૪ના રોજ અમદાવાદમાં રહેતા ગુલામ મોયુદ્દીન શેખ પોતાના પરિવાર સાથે કારમાં વિરમગામથી અમદાવાદ આવી રહ્યા હતા. એ વખતે વરસાદી વાતાવરણ હતું, તે દરમિયાન તેમણે સ્ટીયરીંગ વ્હીલ ઉપરથી કાબુ ગુમાવતા તેમની કાર એક ઝાડ સાથે ટકરાઈ હતી. જેના કારણે તેમની પત્ની રૂકશાનાબાનુ, ગંભીર ઇજાઓ થવાથી તેમને લાંબો સમય સારવાર માટે હોસ્પિટલ રહેવું પડ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે રૂકશાનાબાનુએ મોટરસ એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ સામે નેશનલ ઈન્સ્યુરન્સ કંપની પાસે વળતરની માગણી કરી હતી. ૧૯૯૪માં થયેલા અકસ્માતો ચુકાદો ૨૪ વર્ષ બાદ આવ્યા હતો. જેમા કોર્ટે અકસ્માત માટે પતિ ગુલામ મોયુદ્દીન શેખને પણ બેદરકારીભર્યા ડ્રાઈવીંગ માટે જવાબદાર ગણી ગુલામ મોયુદ્દીન શેખ અને પ્રતિવાદી નેશનલ ઈન્યુરન્સ કંપનીને વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો. જેમાં રૂકશાનાબાનુને ૧૧ ૫૦૦, કૌશરને ૩૭૦૦ શબાનાને ૯૦૦૦ અને વૃધ્ધ માતાને ૨૫૦૦૦ હજાર ચુકવવાનો આદેશ આપ્યો છે. આ તમામ રકમ નવ ટકા વ્યાજ સાથે પણ ચુકવવાની રહેશે એવી પણ કોર્ટે તાકીદ કરી હતી.

(8:17 pm IST)