Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

સુરત આરોગ્‍ય વિભાગ દ્વારા કોરોના કેર એટ હોમ સુવિધાનો પ્રારંભઃ દર્દીના ઘરે જઇને ચેકઅપ તથા સારવાર ડોક્‍ટરની ટીમ દ્વારા કરાશે

સુરત: ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ જો કોરોનાના કેસ જોવા મળી રહ્યા હોય તો તે સુરત છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સુરતમાં કોરોનાના કેસ 3700 પાર ગયા છે અને 145 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. સતત વધતા કેસોને કંટ્રોલમાં લેવા તંત્ર દ્વારા થઈ રહેલા કામગીરી અંગે આજે સુરત મનપા દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી. પ્રેસ કોન્ફરન્સમાં સુરત મ્યુ.કમિશનર અને મેયરે વકરી રહેલા કોરોનાને કાબૂમાં લેવા માટે થઈ રહેલી કામગીરી વિશે જાણકારી આપી. ઉપરાંત સુરત મનપા દ્વારા માહિતી અપાઈ કે, સુરતમાં 'કોરોના કેર એટ હોમ' સેવા શરૂ કરાશે.

પત્રકાર પરિષદમાં જણાવવામાં શહેરના મેયર ડો.જગદીશ પટેલે કહ્યું કે કોરોના સામે લડવા માટે નવી સિસ્ટમ શરૂ કરાઈ રહી છે. કેટલાક કિસ્સામાં હોસ્પિટલ જવું પડે તેથી કરીને લોકો સામાન્ય દવાઓ લઈ લે છે. પછી સ્થિતિ બગડે છે. લોકોએ 104 સેવાની મદદ લેવી જોઈએ. 104ની ડોક્ટરોની ટીમ તમામ કામગીરી કરશે. જેથી કરીને દર્દીનું ચેકઅપ તેના ઘરે કરવામાં આવશે.

એવું પણ જણાવવામાં આવ્યું  કે ઘણા લોકો સરકારી સેવાઓમાં પોતે ગોઠવાઈ શકતા હોય, તેવા કિસ્સામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી શકે છે. સિવિલ બાદ સ્મિમરમાં સારવાર શરૂ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલમાં જનરલ વોર્ડનો તમામ ખર્ચ મનપા અને સરકાર ભોગવશે. જેના માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. 2000થી વધુ બેડ ખાનગી હોસ્પિટલમાં તૈયાર કરાયા છે. કોરોના સંક્રમિત વ્યક્તિના અલગ અલગ સ્ટેજ હોય છે. જેમાં વધારે કે ઓછા લક્ષણ હોય છે.

કોરોના કેર એટ હોમ સેવા શરૂ કરાશે

મેયર ડો.જગદીશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'કોરોના કેર એટ હોમ' સેવા શરૂ કરાશે. જેમાં દર્દી પોતાના ઘરે રહેશે અને સારવાર મેળવશે. જેમાં તમામ કાળજી લેવી જરૂરી છે. હાલ 80 દર્દીઓ પોતાના ઘરે સારવાર લઈ રહ્યાં છે. જેનો વ્યાપ વધારવામાં આવશે.

ઉકાળાનું વિતરણ મોટા પાયે કરાશે

ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા ઉકાળાનું વિતરણ મોટા પ્રમાણમાં કરાશે. પાંચ દિવસ સુધી ઉકાળો મળે તેવી વ્યવસ્થા કરાશે. 100 ધન્વંતરી રથ સમગ્ર શહેરમાં ફરતા રહેશે. તેમના કહેવા મુજબ કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે જ્યાં કેસો વધ્યા છે ત્યાં અસરકારક કામગીરી કરવામાં આવી છે.

મનપાના કહેવા મુજબ પહેલા હીરા ઉદ્યોગ અને બાદમાં કાપડ ઉદ્યોગના અલગ અલગ પ્રકારના ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગમાં સાથે જમવું, રહેવું, ફરવું જોખમકારક બન્યું છે. તેમણે કહ્યું કોરોના ટેસ્ટિંગ ICMRની ગાઈડલાઈન મુજબ થાય છે.

(5:13 pm IST)