Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વડોદરા-રાજપીપળાના રસ્તા ઉપર પોઇચા ગામમા નિર્માણ નિલકંઠધામ સ્વામિનારાયણ મંદિરે ૧૦૮ ગૌમુખી ગંગાથી વહેતી નર્મદા નદીમા સ્નાન કરવા ઉમટયા ભાવિકો

ગુજરાતીઓને ફરવાના ખૂબ જ શોખીન માનવામાં આવે છે. ઓફિસ કે કામ પર એક દિવસની રજા મળે ત્યારે પણ તેઓ કાર લઈને ફરવા માટે નીકળી પડે છે. આજે અમે તેમને ગુજરાતના એક એવા સ્થળ વિશે જણાવીશું જે પિકનિક માટે બેસ્ટ છે. અહીં તમે એક દિવસમાં આરામથી ફ્રેશ થઈ શકો છો.

વડોદરાથી રાજપીપળાના રસ્તે માત્ર 65 કિમી દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય નિલકંઠ ધામ બનાવવામાં આવ્યું છે. વર્ષ 2013માં બનેલું આ સ્વામિનારાયણ મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. મંદિરની વાસ્તુકલા જોવા લાયક છે. અહીંના મંદિરમાં આરતી સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજના સમયે રંગબેરંગી પ્રકાશથી ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે.

લગભગ 105 એકરમાં ફેલાયેલું આ મંદિરમાં રજાના દિવસોમાં મેળા જેવો માહોલ હોય છે. આ સમગ્ર મંદિર નીલકંઠધામ અને સહજાનંદ યુનિવર્સ એમ બે ભાગોમાં વહેંચાયેલું છે. મંદિરના દ્વાર પર ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ છે. તો મંદિરની અંદર વિશાળ સરોવર બનેલું છે. જેની વચ્ચે, શિવલિંગ, ગણેશજી, હનુમાનજીના મંદિર સાથે અન્ય ઘણા નાના-નાના મંદિરો છે.

108 ગૌમુખી ગંગાથી વહેતી નર્મદા નદીના જળમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની ભીડ સવારથી લઈને સાંજ સુધી હોય છે. અહીં મંદિરની બાજુમાં રહેવા અને જમવાની પણ વ્યવસ્થા છે. અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી ગામ આવેલું છે. તો તમે નર્મદા નદીમાં નાહવાનો આનંદ પણ માણી શકો છો.

દર્શન ઉપરાંત તમે અહીં આવીને નેચર પાર્ક, એક્ઝીબિશન, લાઈટ એન્ડ શાઉન્ડ શો, ટનલ ઓફ યમપુરી, ફ્લાવર ક્લોક, આર્ટ ગેલેરી અને હોરર હાઉસ જેવી અન્ય વસ્તુઓ પણ એન્જોય કરી શકો છો.

અમદાવાથી પોઈચા નીલકંઠધામ 169 કિલોમીટર દૂર આવેલું છે. કાર દ્વારા તમે માત્ર પોણા ત્રણ કલાકમાં પોઈચા પહોંચી જશો. ઉપરાંત નજીકનું રેલવે સ્ટેશન રાજપીપળા છે, અહીંથી તમે 12.5 કિમીની મુસાફરી પ્રાઈવેટ વાહનમાં કરીને ત્યાં પહોંચી શકો છો.

(4:50 pm IST)