Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

બિન અનામત વર્ગો માટે 25 જેટલી યોજનાઓનો પટારો ખુલશે : રૂપાણી સરકારની આજે મળનારી કેબિનેટ મિટિંગમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

ગાંધીનગર :આજરોજ મળનારી ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં બિન અનામત વર્ગો માટે જુદી જુદી 25 જેટલી યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે. ગુજરાત સરકારે વેલ્ફેર સ્કીમ માટે માર્ચ મહિનામાં જ 532 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જો કે હજુ સુધી યોજનાઓની સત્તાવાર જાહેરાત થઈ નથી. આર્થિક પછાત અને બિનઅનામત વર્ગના લોકો માટે 25 યોજનાઓ જાહેર કરી શકે છે. કેટલીક યોજનાઓ SC, ST અને OBCના લોકોને મળે છે તેને સમાંતર હશે તો કેટલીક અલગ હશે. રાજ્યમાં પ્રથમ બિનઅનામત આયોગ દ્વારા સલાહ-સૂચનો સાથે રિપોર્ટ સોંપી દેવાયો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે, “બિનઅનામત વર્ગ માટે સરકારે 25 નવી યોજનાઓની રૂપરેખા તૈયાર કરી છે. કેબિનેટ દ્વારા આ અઠવાડિયે અથવા તો આવતા અઠવાડિયા સુધીમાં યોજનાઓને મંજૂરી આપી દેવામાં આવશે. કેટલીક યોજનાઓ SC-ST અને OBC વર્ગને મળે છે તેવી જ હશે તો કેટલીકમાં બિનઅનામત વર્ગની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.”

મંત્રી ઈશ્વરભાઈએ ઉદાહરણ આપીને જણાવ્યું કે, “SC-ST અને OBC વર્ગના લોકોને માછીમારીને લગતી યોજનાઓનો લાભ મળે છે જે સવર્ણોને નહીં મળે. બિનઅનામત વર્ગ માટે જાહેર થનારી યોજનાઓની અમલ તારીખ 1 એપ્રિલ 2018 રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. 1 એપ્રિલ 2018 પછી એપ્લિકેશન આપનારા વિદ્યાર્થીઓને યોજનાઓનો લાભ મળશે.”ઈશ્વરભાઈ પટેલે કહ્યું કે, “ઈન્કમ ટેક્સ માટેના માપદંડો અંગે કેબિનેટ ચર્ચા કરીને નિર્ણય કરશે. 6 લાખથી 8 લાખ વચ્ચે અધિકતમ મર્યાદા નક્કી કરવામાં આવી શકે છે.” ઓક્ટોબર 2017માં સરકારે બિન અનામત વિકાસ નિગમ બનાવવાની જાહેરાત કરી હતી અને બિનઅનામત વેલ્ફેર કોર્પોરેશન બનાવાયું છે.

(10:38 am IST)