Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

શ્રેયસ ઈન્‍જર્ડ, વન-ડે અને આઈપીએલના અમુક મેચોમાંથી બહાર થઈ શકે

રજત પાટીદાર કે રાહુલ ત્રિપાઠીને ટીમમાં સમાવાશે

નવી દિલ્‍હીઃ બેટર  શ્રેયસ અય્‍યર ટેસ્‍ટ મેચમાં ઈજાગ્રસ્‍ત થતાં વન ડે સીરિઝ અને આઈપીએલની શરૂઆતની મેચમાંથી બહાર જવું પડી શકે છે.

ઓસ્‍ટ્રેલિયા સામે ઘરેલુ ટેસ્‍ટ સીરિઝ જીત્‍યા બાદ ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયા સામે ત્રણ મેચની વન ડે સીરિઝ પણ રમવાની છે. આ સીરિઝ પહેલા ભારતીય ટીમને સૌથી મોટો ઝટકો પડ્‍યો છે. બોર્ડર ગાવસ્‍કર ટ્રોફીની ચોથી ટેસ્‍ટ મેચમાં બેટ્‍સમેન શ્રેયસ અય્‍યર ઈજાગ્રસ્‍ત થયા હતા, જેના કારણે તેઓ વન ડે સીરિઝમાંથી બહાર થઈ શકે છે.શ્રેયસ અય્‍યરે ઓસ્‍ટ્રેલિયા સામેની ચોથી ટેસ્‍ટ મેચમાં બેટીંગ કરી નહોતી. અમદાવાદ ટેસ્‍ટ મેચમાં સતત બે દિવસ સુધી ફીલ્‍ડિંગ કર્યા બાદ શ્રેયસ અય્‍યરને પીઠના નીચેના ભાગમાં સોજો આવી ગયો હતો.  તેણે એક ઓવરની બોલિંગ પણ કરી હતી.શ્રેયસ નેશનલ ક્રિકેટ એકેડમીમાં  બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

 કેપ્‍ટન રોહિત શર્માએ  શ્રેયસ અય્‍યરની ઈજા અંગે જણાવ્‍યું હતું કે, ‘મને નથી લાગતું કે, શ્રેયસની તબિયત સારી હોય, જે સારી વાત નથી.' બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ‘શ્રેયસની ઈજા અંગે નિષ્‍ણાંતની સલાહ લેવામાં આવશે.' જો શ્રેયસ વન ડે સીરિઝમાંથી બહાર થશે તો તેમની જગ્‍યાએ રજત પાટીદાર અથવા રાહુલ ત્રિપાઠીને ટીમમાં શામેલ કરવામાં આવશે.

(4:39 pm IST)