Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

શિખર ધવનની જગ્યા પર ઋષભ પંત ટીમમાં સામેલ

ઇંગ્લેન્ડ જવા માટે ઋષભ પંત રવાના થયો : હવે ઋષભ પંત ચાર નંબર ઉપર બેટિંગ કરે તેવી સંભાવના

નવીદિલ્હી, તા. ૧૧ : ભારતીય ટીમમાં વર્લ્ડકપ અભિયાનને મોટો ફટકો પડી ગયો છે. શિખર ધવનના મામલામાં આજે વાત વધુ બગડી ગઈ હતી. જ્યારે એવા સમાચાર આવ્યા કે, તેના અંગૂઠામાં ફ્રેક્ચર છે અને તેને ત્રણ સપ્તાહ સુધી ક્રિકેટથી બહાર રહેવાની જરૂર પડશે. આવી સ્થિતિમાં કોને સામેલ કરાશે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. મામલામાં જાણકાર લોકોનું કહેવું છે કે, શિખર ધવન બીજી જુલાઈના દિવસે બાંગ્લાદેશની સામે થનારી મેચ પહેલા પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. એવી પણ શક્યતા છે કે, છઠ્ઠી જુલાઈના દિવસે શ્રીલંકા સામેની મેચમાં પણ તે ઉપલબ્ધ રહેશે નહીં. જાણકાર લોકોના કહેવા મુજબ શિખર ધવન વર્લ્ડકપમાંથી લગભગ બહાર થઇ ચુક્યો છે. ધવનને થયેલી ઇજા ઋષભ પંતને ફાયદો કરાવી ગઈ છે. વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં દિનેશ કાર્તિકથી ઋષભ પંત પાછળ રહી ગયો હતો. હવે તે ઇંગ્લેન્ડ જવા માટે રવાના થશે. ટીમ મેનેજમેન્ટ ધવનના રિપ્લેશમેન્ટ માટે સત્તાવારરીતે રજૂઆત કરનાર છે. શિખર ધવનના રિપ્લેશમેન્ટ તરીકે પંત રહેશે. પંતને વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવેલી ૧૫ સભ્યોની ટીમમાં તક મળી ન હતી. પંતને અનુભવના મામલામાં દિનેશ કાર્તિક કરતા પાછળ રાખવામાં આવ્યો હતો. હવે ટોપ ઓર્ડર બેટ્સમેન ધવનને ઇજા થયા બાદ પંતને વહેલીતકે સામેલ કરાશે. ૨૧ વર્ષીય પંત ૪૮ કલાકની અંદર લંડન જવા માટે રવાના થશે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પંત સામેલ થઇ શકશે નહીં પરંતુ પાકિસ્તાનની સામે રવિવારના દિવસે રમાનારી મેચમાં પંત રમશે તે બાબત નક્કી દેખાઈ રહી છે. રાહુલ હવે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે જ્યારે પંત ચાર નંબર પર બેટિંગ કરી શકે છે. ધવન ઇજાગ્રસ્ત થતાં ભારતને મોટો ફટકો પડ્યો છે. ૨૦૧૩ની ચેેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૧૫ના વર્લ્ડકપમાં ધવને ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. દરેક મેચમાં તે શાનદાર દેખાવ કરીને આગળ આવ્યો હતો. પંત પહેલા દાવેદાર તરીકે હતો પરંતુ કાર્તિકને તેના કરતા વધારે મહત્વ અપાયું હતું.

(7:35 pm IST)