Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જૂનાગઢમાં ૬૨ વર્ષના મુકેશભાઈ દોશીનું કોરોનાથી મોત

શનિવારે ૧ વ્યકિતનું મોત નિપજ્યા બાદ આજે ફરી ૧નો મહામારીએ ભોગ લેતા અરેરાટી : ધોરાજીમાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસઃ પુત્રનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાના થોડા દિવસો બાદ આજે પિતાનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યોઃ શહેર અને તાલુકામાં કુલ ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૯ :. કોરોના મહામારીનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થાય છે ત્યારે આજે જૂનાગઢમાં કોરોનાએ ૬૨ વર્ષના વ્યકિતનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢમાં વાદીખડકીમાં રહેતા જૈન વણીક મુકેશભાઈ દોશી (ઉ.વ. ૬૨)ને કોરોનાના લક્ષણો સાથે ગઈકાલે હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. એક દિવસની સારવાર બાદ આજે બીજા દિવસે ૬૨ વર્ષના મુકેશભાઈ દોશી કોરોના સામે હારી ગયા હતા અને તેમનુ મોત થયુ હતું.

કોરોનાએ જૂનાગઢમાં અત્યાર સુધીમાં ૩ વ્યકિતઓનો ભોગ લીધો છે. જેમાં ૧ મહિલાનું થોડા દિવસો પહેલા જ્યારે શનિવારે ૫૧ વર્ષના પુરૂષનુ થયુ હતું ત્યાર બાદ આજે વધુ એક ૬૨ વર્ષના પુરૂષનુ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

(4:18 pm IST)