Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભાવનગરના કાત્રોડી ગામમાં જમીનના ડખ્ખામાં યુવકની હત્યા : સાવકી માતા સામે શંકા

ભાવનગર, તા. ર૯ : ભાવનગર જીલ્લાના કાત્રોડી ગામે જમીનના ઝઘડામાં યુવાનની હત્યા થઇ છે. મૃતક યુવાનની હત્યા તેની સાવકી માતાએ કરી હોવાની શંકા પોલીસ ફરીયાદમાં નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જર-જમીન અને 'જોરૂ- એ ત્રણ કજીયાના છોરૂ' આ કહેવત અનેક વખત સાર્થક થતી હોય છે. આવો વધુ એક બનાવ ભાવનગર પંથકમાં બનવા પામ્યો છે. જેમાં જમીન વેચાણ બાબતે મનદુઃખ થતાં યુવાનની હત્યા થવા પામી છે.

આ બનાવ અંગે પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના કાત્રોડી ગામે રહેતા ભીમજીભાઇ ભીખાભાઇ નાગર ઉ.વ.૪૬ની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ જેસર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે મૃતક ભીમજીભાઇના પિતરાઇભાઇ મનસુખભાઇ વીરાભાઇ નાગરએ જેસર પોલીસ સ્ટેશનમાં શકદાર તરીકે મૃતક યુવાન ભીમજીભાઇની સાવકી માતા વિરૂબેન વિરૂદ્ધ ફરીયાદ નોંધી જણાવેલ કે જમીનના વેચાણ બાબતે ઓરમાન પુત્ર સાથે અણબનાવ બનેલ જેથી આ બનાવ બન્યો છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ પો.સ.ઇ. કે.જે. સીસોદીયા ચલાવી રહ્યાં છે.

(2:44 pm IST)